આણંદમાં રહેતા વેપારીએ ત્રણ વર્ષ પહેલા પ્રતિષ્ઠિત ખાનગી કંપનીના શો રૂમમાંથી કાર ખરીદી હતી. આ કારમાં ધુમાડા નિકળતાં હોવાથી રીપેરીંગ માટે અવાર નવાર કંપનીના શો રૂમમાં મુકી હતી. પરંતુ પ્રશ્ન હલ ન થતાં આખરે મંગળવારના રોજ તેણે ઢોલ – નગારા વગાડી અનોખો અસંતોષ રજૂ કરી શો રૂમ પર પહોંચ્યાં હતાં અને કાર કંપનીને સુપ્રત કરી દીધી હતી. તેના આ અનોખા વિરોધથી ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
આણંદમાં રહેતા અને વેપાર કરતાં નિશિત અરોરાએ ફેબ્રુઆરી 2019માં અમદાવાદના એસજી હાઈવે પર આવેલા મારૂતી સુઝુકી કંપનીમાંથી સાત લાખ ઉપરાંતના ખર્ચે કાર ખરીદી હતી. થોડા સમય કાર ચલાવ્યા બાદ અચાનક કારમાં ધુમાડા નિકળતાં હતાં. આથી, તેઓએ આણંદ ખાતેના કંપનીના શો રૂમમાં સર્વિસ માટે મુકી હતી. આ સર્વિસ બાદ પણ સમસ્યા જેમની તેમ રહી હતી. જોકે, તેઓએ છેલ્લા ત્રણ વરસમાં અનેક વખત ગાડી રીપેરીંગમાં મુકી હતી. આમ છતાં કોઇ ફર્ક પડ્યો નહતો. આ અંગે નિશીત આરોરાએ સર્વિસ સેન્ટરના સંચાલકોને રજૂઆત પણ વારંવાર કરી હતી. પરંતુ તેમને માત્ર ઠાલા વચનો જ મળતાં હતાં. જોકે, લાંબા સમય અને અનેક ગણા ખર્ચ બાદ પણ સમસ્યાનું નિવારણ ન થતાં આખરે કંટાળી નિશિત અરોરાએ કંપની સર્વિસ અને ખામી બાબતનો દબાવી રાખેલો રોષ મંગળવારના રોજ ઢોલ – નગરા સાથે વાજતે ગાજતે શો રૂમ પર પહોંચી કાર પરત કરવા પહોંચ્યા હતા.
આ અંગે નિશિત અરોરાએ રોષ સાથે જણાવ્યું હતું કે, આણંદના શો રૂમમાં 25થી 30 મહિનાથી ધક્કા ખાઇ રહ્યો છું. આમ છતાં ખામીનું યોગ્ય રીપેરીંગ થયું નથી. આથી, કાર પરત કરી છે. ગ્રાહકોને મારી અપીલ છે કે ગેરેન્ટી કે વોરંટીના નામે છેતરાશો નહીં. પ્રોડક્ટ બાબતે ફક્ત આશ્વાસન જ મળે છે.
Recent Comments