ગુજરાત

આણંદમાં ૮.૫૦ લાખની ઉઘરાણી કરતાં ફાયરીંગ, પોલીસે મોડી રાત્રે ગુનો નોંધાયો

આણંદ શહેરના ડેડ કેનાલ રોડ પર શાન સિનેમા નજીક ફાયરીંગ થયાના બનાવને પોલીસ દોડતી થઇ હતી. આ અંગે પોલીસે વિવિધ ટીમ કામે લગાડી તપાસ કર્યા બાદ મોડી રાત્રે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં રૂ.૮.૫૦ લાખની લેતીદેતી મામલે ફાયરીંગ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. આણંદના જીટોડિયા ગામે ધનલક્ષ્મી પાર્કમાં રહેતા કૃષ્ણકાંત નરસિંહ અઘેરાએ જતીન પટેલ નામના શખસને રૂ.૮.૫૦ લાખ આપ્યાં હતાં.

આ રૂપિયાની તેઓ અવાર નવાર ઉઘરાણી કરતાં હતાં. જેના પગલે મનદુઃખ ઉભુ થયું હતું. જેથી જતીન પટેલનો પુત્ર રાહિલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાનમાં મંગળવારની નમતી બપોરે કૃષ્ણકાંત અઘેરા તથા આસિફખાન ઐયુબખાન (રહે.ચકલાસી)એ આણંદ શહેર પોલીસ મથકે એપીસી સર્કલથી શાન સિનેમા તરફ જતા રોડ પર જતીન પટેલનો પુત્ર રાહિલ કાળા કલરની વર્ના ગાડીમાં આવ્યો હતો અને કૃષ્ણકાંતને મારી નાખવાની ઈરાદે તેની પર ફાયરીંગ કર્યું હતું. બાદમાં ભાગી ગયો હોવાની જાણ કરી હતી.

આ ઘટનાની ગંભીરતાના પગલે શહેર પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં કૃષ્ણકાંત અઘેરાને પણ સ્થળ પર બોલાવી ખાતરી કરવામાં આવી હતી. બાદમાં સીસીટીવી ફુટેજ ચેક કરતાં કેટલીક કડી મળી આવી હતી. આખરે આ અંગે મોડી રાત્રે રાહિલ સામે ગુનો નોંધી વધુ તેની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે. જતીન પટેલના પુત્ર રાહિલે રૂ.૮.૫૦ લાખના મામલે કૃષ્ણકાંત અઘેરા પર ફાયરીંગ કર્યું હતું. આ બનાવ સંદર્ભે પોલીસે મોડી રાત્રે ગુનો નોંધી રાહિલની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

Related Posts