ભાવનગર

આધારકાર્ડમાં નોંધણી માટે આપેલી ‘ફિંગર પ્રિન્ટ’ રાજસ્થાની મહિલા માટે તેના પરિવારના મિલનનું માધ્યમ બન્યું

લોકડાઉનના સમયગાળામાં રાજસ્થાનથી અજાણતાં દોઢ વર્ષ પહેલાં ભૂલથી ગુજરાતમાં આવી ચઢેલ માનસિક રીતે અસ્થિર મહિલાનું નારી કેન્દ્ર, પાલીતાણા તથા જિલ્લા વહીવટી તંત્ર અને સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી રાજસ્થાનમાં રહેલાં તેના પરિવાર સાથે પુન:મિલન શક્ય બન્યું છે.

ઘટનાની વિગતો એવી છે કે, ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરના આશરાની માનસિક રીતે અસ્વસ્થ એક મહિલા અજાણતાં જ આશરે દોઢ વર્ષ પહેલાં લોક ડાઉનના સમયગાળામાં બોટાદ જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓને મળી આવી હતી.

અજાણી મહિલાનું કાઉન્સેલીંગ કરતાં મહિલા બોલી શકવાની સ્થિતિમાં નહોતી. તેમજ માનસિક રીતે અસ્વસ્થ હતી. તેથી તેનું પુન:સ્થાપન કરવાં માટે લાંબા ગાળાના આશ્રય અર્થે નારી કેન્દ્ર, પાલીતાણા ખાતે રાખવામાં આવી હતી.

આ નારી કેન્દ્ર ખાતે રાજસ્થાની મહિલાનું સારી રીતે લાલન પોષણ કરવામાં આવતું હતું તથા સતત કાઉન્સિલને પરિણામે તેની સ્થિતિમાં થોડો સુધારો જણાયો હતો.

પરંતુ આ મહિલા ગુજરાતી કે હિન્દી ભાષા જાણતી ન હતી અને માત્ર રાજસ્થાની ભાષામાં જ બોલતી હતી.જે નારી કેન્દ્રના સ્ટાફને સમજણમાં આવતી ન હતી. તેથી નારી કેન્દ્રનો સ્ટાફ પણ મૂંઝવણમાં હતો કે, આ મહિલાનું તેના પરિવાર સાથે મિલન કઈ રીતે કરાવવું !!!

આ મહિલા કોઈ સંકેત કે કોઈ ક્લુ આપે તો તેના પરિવારને શોધી શકાય. આ વિમાસણ વચ્ચે નારી સંરક્ષણ કેન્દ્રના કર્મચારીઓ દ્વારા અજાણી મહિલાની મેડિકલ તપાસ કરાવી તેમજ તેને જરૂરી સારવાર આપી હતી જેથી તેના પરિવાર અંગેની કોઈ માહિતી તે આપી શકે.

ત્યાર બાદ રાજસ્થાની મહિલાનું સતત કાઉન્સેલીગ કરી તેણીના પરિવાર વિષે જાણકારી મેળવવાની કોશીષ કરવામાં આવી હતી. પરંતુ તે પોતાના વિશેની કંઈપણ માહિતી આપી શકે તેવી સ્થિતિમાં ન હતી.

જેથી નારી સંરક્ષણ કેન્દ્ર, પાલીતાણાના મેનેજર દ્વારા આશ્રિત મહિલાનું તેના પરિવાર સાથે મિલન થાય તે માટે જો તેણીએ આધાર કાર્ડ માટે તેની ફિંગર પ્રિન્ટ આપી હોય તો આ ફિંગર પ્રિન્ટને આધારે તે મહિલા ક્યાંની છે તેની વિગતો મળી શકે તેવાં વિચારને આધારે આ મહિલાને ભાવનગર ખાતે લાવી કલેક્ટરશ્રીની મંજૂરી સાથે આધાર કાર્ડની કચેરીએ તેની ફિંગર પ્રિન્ટ કોઈ આધાર કાર્ડ સાથે જોડાયેલી છે કે નહીં તે ચેક કરવામાં આવ્યું હતું.

સદનસીબે રાજસ્થાનની આ મહિલાની ફિંગર પ્રિન્ટ અન્ય આધારકાર્ડ સાથે જોડાયેલી મળી આવી હતી. તેનાં આધારે તેની વિગતો કાઢતાં આ મહિલા રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ધાવરિયા ગામની હોવાનું માલુમ પડ્યું હતું.

આ અંગેની વિગતો પ્રાપ્ત થતાં જાણવાં મળ્યું કે, આ રાજસ્થાની મહિલાનું નામ લક્ષ્મીબાઈ છે અને તેને તેનો સંપર્ક કરવા માટે નારીકેન્દ્ર પાલીતાણા દ્વારા રાજસ્થાનના ‘સખી વન સ્ટોપ સેન્ટર’નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યાં તપાસ કરવામાં આવતાં તેના પરિવારે તો આ મહિલા આ દુનિયામાં નથી એમ માનીને ચાલી રહી હતી. તેનાં બદલે તેમની પુત્રી આ દુનિયામાં જીવિત છે તે જાણીને તેમનો હરખ સમાતો ન હતો.

આ માહિતીને આધારે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, ભાવનગરની કચેરી દ્વારા લક્ષ્મીબેનને તેમનાં પરિવાર સાથે પુન:મિલન કરાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યાં હતાં.

તેમજ ઉદયપુર ખાતે આવેલ ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ના સહકાર દ્વારા લક્ષ્મીબેનની તમામ વિગતો, આધારકાર્ડના ફોટો સાથે મોકલી આપવામાં આવી હતી. જેને આધારે સખી વન સ્ટોપ સેન્ટર, ઉદયપુર દ્વારા આ વિગતોને આધારે ઉદયપુર જિલ્લાના ધાવરીયા ગામે લક્ષ્મીબેનના પરિવારનો સંપર્ક કરી તેઓને લક્ષ્મીબેન ગુજરાતના ભાવનગર જિલ્લાના નારી કેન્દ્ર, પાલીતાણા ખાતે સહી સલામત હોવાની જાણકારી આપી હતી.

આ રીતે લક્ષ્મીબેનની દોઢ વર્ષની પરિવાર વગરની જીંદગીમાં આશાનું કિરણ નહીં, પરંતુ આશાનો સુરજ ઉગ્યો હતો. આ માહિતી મળતાં તેમના પરિવારમાં એકદમ આનંદ પ્રસરી ગયો હતો. તેમજ તેમના પરિવાર વિશે માહિતી મળતાં નારી કેન્દ્ર, પાલીતાણાના કર્મચારીઓ સાથે લક્ષ્મીબેનને તાત્કાલીક ઉદયપુર સખી વન સ્ટોપ સેંટર ખાતે લઇ જઈ તેમનાં પરિવાર સાથે મેળાપ કરાવવામાં આવ્યો હતો.

લક્ષ્મીબેનને દોઢ વર્ષ પછી જોઇને તેમનાં પરિવાર દ્વારા આંખોમા હર્ષનાં આંસુ સાથે તેનું સ્વાગત કર્યું હતું અને તેમની દીકરીને ફરીથી પરિવાર સાથે મેળાપ કરાવવાં માટે સમગ્ર ભાવનગર જિલ્લા તંત્રનો આભાર માન્યો હતો.

Related Posts