ગુજરાત

આનંદોઃ ૨૦૨૨ સુધીમાં અમદાવાદમાં દોડતી થઈ જશે મેટ્રો

૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના બીજા ફેઝનું કામ પૂરું કરી દેવાશે. ૨૦૨૪ના માર્ચ મહિના સુધીમાં મેટ્રો રેલના બીજા તબક્કાનું કામ પૂરું કરી દેવાની ગણતરી રાખવામાં આવી છે. ઉપરાંત અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોરનું પહેલા તબક્કાનું કામ પણ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પૂરું થઈ જશે. ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે અને ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થશે ત્યારે એ પહેલા આ પ્રથમ તબક્કાનું કામ પૂરું કરાશે.

મેટ્રોની કામગીરીમાં જરૂરી એવા ૩૨ રેક (ખોદેલી જમીન એકસરખી કરવા માટે વપરાતું સાધન) પણ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને મળી ગયા છે. એપીએમસી વાસણાથી મોટેરાના પટ્ટા (ઉત્તર-દક્ષિણ કોરિડોર) માટે ૧૮ ટ્રેન ઉપલબ્ધ કરાવાશે અને આટલી જ સંખ્યામાં ટ્રેન પૂર્વ-પશ્ચિમ કોરિડોર એટલે કે થલતેજથી વસ્ત્રાલ વચ્ચેના રૂટ પર દોડશે. એક અધિકારીના કહેવા અનુસાર, આ મેટ્રો ટ્રેન ડ્રાઈવર વિના દોડી શકે તેવી ટેક્નોલોજીથી સજ્જ છે પરંતુ મેટ્રોના સત્તાધીશોએ નક્કી કર્યું છે કે, અમદાવાદ મેટ્રોમાં ડ્રાઈવર હશે.

પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોરનું કામ વેગ પકડી રહ્યું છે અને ૨૦૨૨ સુધીમાં પૂરું થઈ જશે તેવી અપેક્ષા છે. અધિકારીઓના કહેવા અનુસાર, પૂર્વમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર અને કાંકરિયા ખાતે અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. આ જ પ્રકારે ટ્રેક અને સિગ્નલ નાખવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. અધિકારીઓના કહેવા અનુસાર, દેશમાં મેટ્રોના ટ્રેક નાખનારી એજન્સી જ રાજ્યમાં પણ આ કામગીરી સંભાળી રહી છે.
અધિકારીના કહેવા અનુસાર, અમદાવાદ મેટ્રો દેશનો બીજાે મેટ્રો પ્રોજેક્ટ હશે જ્યાં મોટાભાગના સ્ટેશન પર પ્લેટફોર્મ સ્ક્રીન ડોર્સ હશે. વસ્ત્રાલ ગામ, એપરલ પાર્ક અને નિરાંત ચોકડી સ્ટેશન એપ્રિલ ૨૦૧૯માં શરૂ થયા હતા. આ સ્ટેશનો પણ પીએસડીથી સજજ હતા પરંતુ ચાલુ નહોતા કરાયા પરંતુ હવે થઈ ગયા છે.

Related Posts