અરબી સમુદ્રના પવિત્ર તટ પર અને ભવાની માંના પ્રાંગણમાં નવરાત્રીના અવસર પર ગવાઈ રહેલી પૂ. મોરારીબાપુની શ્રી મુખવાણીથી પ્રવાહીત રામકથા “માનસ :માતુ ભવાની”સાતમા દિવસે સંપન્ન થઈ. આજના કથા પ્રવાહને વહેવડાવાનું મંગલાચરણ થાય તે પહેલાં પૂ. મોરારીબાપુએ તલગાજરડાના વાયુમંડળના વિવિધ સ્થાનોમાં માનસની ચોપાઈઓને ગુંજીત કરી છે. તો તેમાં બાકી રહેતાં ભુતનાથ મહાદેવના પવિત્ર સ્થળે કથાનો એક મનોરથ સેવ્યો હતો. કથાના પ્રારંભે બાપુએ વ્યક્ત કરેલાં મનોરથને આજે જાહેર કરતાં બાપુએ કહ્યું કે માનસ ભૂતનાથ આવતાં વર્ષની આ શારદીય ઋતુના ઉત્સવમાં આપણે માનસ ભૂતનાથ ગાવાનો સંકલ્પ જાહેર કરીએ છીએ. કોઈ અન્ય કારણ નહીં હોય તો આપણે આ કથાનો પ્રારંભ આવતાં વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે કરીશું.તે દિવસ 28-10-23 આવે છે.આપ સૌને આ કથામાં આવવાનું અત્યારથી ભાવપૂર્ણ નિમંત્રણ આપું છું અને જાહેર કરું છું.
કથાના પ્રવાહમાં બાપુએ કહ્યું કે આપણી યશ-કિર્તીના કેન્દ્રમાં મા હોય છે.કોઈપણ વ્યક્તિએ સાહસને રોકવું જોઈએ. પરંતુ ઉત્સાહને રોકવો ન જોઈએ. આપણે આપણું જીવન ભરોસે આગળ વધારીએ છીએ.બુદ્ધ પુરુષોની છાયામાં આપણે સમાઈ જતાં હોઈએ છીએ.વડલાની નીચે જ્યારે આપણે જઈએ ત્યારે આપણાં પડછાયાનો લોપ થાય છે. સાધુ કોઈના પ્રભાવમાં કદી ન હોય પરંતુ તે તેનો સ્વભાવ હોય છે. માં ભવાનીના વિવિધ રૂપોમાં પ્રથમ રૂપ ‘માં અંબા અને છેલ્લાં રૂપને માનસ ગણીએ તો બાકી રહેતાં સાત રૂપો એ ભગવદગીતાના 10 માં અધ્યાયના વિભૂતિ યોગમાં અપાયાં છે. જેમાં કીર્તિ, શ્રી, વાક્ સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા.આ રીતે કુલ નવ દુર્ગાના નવ રૂપો છે.નારી શક્તિમાં સાત વસ્તુઓ ખૂબ સહજ હોય છે. કોઈપણ વ્યક્તિએ ચાર જગ્યાએ નિમંત્રણની રાહ ન જોવી જોઈએ. મા-બાપને ત્યાં, મિત્રને ત્યાં, કોઈ સત્કાર્યમાં અને ગુરુ શરણમાં.
રામકથાના ક્રમને આજે બાપુએ શિવ વિવાહ સંપન્ન કરીને શિવ, ભવાની અને બીજા અનેક પ્રસંગોની સાત્વિક, તાત્વિક ચર્ચા કરી હતી. માં ભવાનીનું દક્ષના યજ્ઞમાં જવું, શિવજીનું અપમાન થઇ જવું અને માં ભવાનીનું યજ્ઞમાં આહુત થઈ જવું અને ફરી હિમાચલના ઘેર સતી પાર્વતીના રૂપે અવતરવું અને પછી નારદજીના સાંકેતિક પણ યોગાનું યોગ ભગવાન શિવની સાથે જોડાવું આ બધી જ ભાવનાત્મક રીતે જોડાયેલી કથાને સુંદર અને પ્રવાહી રીતે બાપુએ વહાવી હતી.
શિવ વિવાહનો પ્રસંગ હોવાથી આજે કથા પોણો કલાક સુધી લંબાઇ હતી. કથાના પ્રારંભે જ્યારે માનસ ભૂતનાથની જાહેરાત કરવામાં આવી ત્યારે આ કથાના યજમાન શ્રી દાનાભાઈ ફાફડાવાળાએ એક કથા માંગી હતી.આ કથા આપવાની અને તારીખ જાહેર કરવાની વિધી આ જ કથામાં થતાં જોગાનુજોગ મહુવાની બંને કથાનો સેતુબંધ રચાયો હતો. બાપુએ વિનોદથી કથાના યજમાન શ્રી પરેશભાઈને ચાલું કથામાં ફોન કરી આ માહિતી તેમને અપાઈ હતી. આજની કથામાં જીગ્નેશ મહેતાનું કેલેન્ડર “માનસ સુપ્રભાત” નું પુ.મોરારીબાપુ અને જીગ્નેશભાઈ મહેતા સહિતના સૌએ લોકાર્પણ કર્યું હતું. બાપુએ તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો. કથામાં આજે ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેમાન મહેરામણ ઉમટી પડ્યો હતો. તેથી રસ્તાઓ એક માર્ગીય કરીને અવરજવર માટે અલગ કરવામાં આવ્યા હતા.
Recent Comments