અમરેલી

આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે અમરેલી સ્થિત શાંતાબા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જેવી રીતે મેડિકલના સ્નાતક અભ્યાસક્રમ માટેની બેઠકો વધારી રહી છે તેવી જ રીતે સ્નાતક બાદ મેડિકલના અનુસ્નાતક એટલે કે પીજી અભ્યાસક્રમની બેઠકની સંખ્યા વધારવા માટે પણ કટિબદ્ધ છે.  તેમણે સંવાદ કરતી વખતે કહ્યુ કે,  વિદ્યાર્થીઓને

પરીક્ષાનો સમય નજીક આવે તે વેળાએ તણાવ અનુભવાઈ છે પરંતુ તણાવમુક્ત રહી વધુ સારી રીતે અભ્યાસ ક્ષમતાઓ દર્શાવી શકાય છે.મેડિકલના વિદ્યાર્થીઓને તેમણે ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે વિદ્યાર્થીઓ સાથે અમરેલીના સંસ્મરણો વાગોળ્યા હતા.  

મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પંચમહાલ, નર્મદા, દાહોદમાં મેડિકલ કોલેજોનું નિર્માણ થઈ રહ્યુ છે. તેમણે તબીબોની સેવા અને કોરોનાકાળને યાદ કરતા તબીબોને ઈશ્વરનું રૂપ ગણાવતા ભાવિ તબીબોને પણ ફિલ્ડમાં જઈને સેવા કરવા માટે અનુરોધ કર્યો હતો.

વિદ્યાર્થીઓ સાથેની પ્રશ્નોત્તરી વેળાએ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જેવી રીતે યુજી મેડિકલ અભ્યાસક્રમની બેઠકો સરકાર વધારી રહી છે તેવી જ રીતે પીજી મેડિકલ અભ્યાસક્રમની બેઠકો પણ  વધારવામાં આવે તેવું રાજ્ય સરકારનું આયોજન છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર આ દિશામાં પણ મક્કમપણે આગળ વધી રહી છે.

આ કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, સંસ્થાના ટ્રસ્ટીશ્રી વસંતભાઈ ગજેરા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ,  પદાધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts