ઈસ્ટર્ન કોરિડોરનું સંચાલન ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોના નવા યુગની શરૂઆત : સર્બાનંદ સોનોવાલે

પુતિન અને કિમ વચ્ચેની બેઠક પર આખી દુનિયાની નજર હતી ત્યારે ભારતે રશિયા સાથે મળીને એક મોટી યોજના બનાવી હતી. ભારત અને રશિયાએ ઈસ્ટર્ન મેરીટાઇમ કોરિડોર સ્થાપવા અંગે ચર્ચા કરી હતી. કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ મંત્રી અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઈસ્ટર્ન કોરિડોરનું સંચાલન ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોના નવા યુગની શરૂઆત કરશે. તમને જણાવી દઈએ કે સર્બાનંદ સોનોવાલ રશિયાના વ્લાદિવોસ્તોકમાં આયોજિત ૮મી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા.
આ દરમિયાન બંને દેશના નેતાઓ વચ્ચે આ વાતો થઈ. સોનોવાલે કહ્યું કે રશિયન મંત્રી એઓ ચેકુનકોવ સાથે દરિયાઈ સહયોગ અંગે ચર્ચા થઈ હતી. ઈસ્ટર્ન કોરિડોરના નિર્માણ બાદ ભારત અને રશિયા વચ્ચે કનેક્ટિવિટી વધશે અને વેપારને પણ વેગ મળશે. તેમણે કહ્યું કે રશિયા અને ભારતની મિત્રતા ઐતિહાસિક છે. બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય હિતો પર આધારિત છે. આ કોરિડોરના નિર્માણથી બંને દેશોને મોટી સુવિધા મળશે. તમને જણાવી દઈએ કે ઈસ્ટર્ન મેરીટાઇમ કોરિડોરના નિર્માણથી ભારતીય અને રશિયન બંદરો વચ્ચે કાર્ગો પરિવહનમાં લાગતો સમય ૧૬ દિવસ ઓછો થઈ જશે.
ભારતથી સામાન રશિયા પહોંચવામાં ૪૦ દિવસને બદલે ૨૪ દિવસ લાગશે. તમને જણાવી દઈએ કે બુધવારે વ્લાદિવોસ્તોકમાં પુતિન અને કિમ જાેંગ વચ્ચે મુલાકાત થઈ હતી. દુનિયાની નજર આ બેઠક પર ટકેલી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ ચાર કલાક સુધી મુલાકાત ચાલી હતી. આ દરમિયાન બંનેએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કિમ અને પુતિને રશિયા-યુક્રેન યુદ્ધ, યુરોપ અને કોરિયન પેનિનસુલાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન પુતિને કહ્યું કે તેઓ ઉપગ્રહ બનાવવામાં ઉત્તર કોરિયાની મદદ કરશે જ્યારે કિમે રશિયાને યુદ્ધમાં મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
Recent Comments