બિહારના ઔરંગાબાદમાં સિલિન્ડરમાં ભીષણ વિસ્ફોટ થતા ૨૫ લોકો દાઝી ગયા છે. આ અકસ્માતમાં ઘાયલ થનારામાં બિહાર પોલીસના ૭ જવાન પણ સામેલ છે. જેઓ પોતાના રૂટિન પેટ્રોલિંગ દરમિયાન અકસ્માતની જાણ થતા ઘટનાસ્થળે પહોચ્યા હતા. આ દર્દનાક અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તરત જ સદર હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેઓ સારવાર હેઠળ છે. અકસ્માત વિશે જે માહિતી મળી છે તે મુજબ શાહગંજ મહોલ્લાના અનિલ ગોસ્વામીના ઘરે મહિલાઓ છઠનો પ્રસાદ બનાવી રહી હતી અને અચાનક સિલિન્ડરમાંથી ગેસ લીક થવાના કારણે આગ લાગી ગઈ. આગની જાણ થતા જ અડોશ પડોશના લોકો પણ આગ બૂઝાવવા માટે પહોંચી ગયા.
આ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટુકડી પણ ત્યાં પહોંચી અને આગ બૂઝાવવાના પ્રયત્નો કરવા લાગ્યા. પરંતુ અચાનક એલપીજી સિલિન્ડરમાં ધડાકો થયો જેની ઝપેટમાં ૭ પોલીસકર્મી સહિત લગભગ ૨૫ લોકો આવી ગયા. રાહતની વાત એ રહી કે આ અકસ્માતમાં કોઈના જીવ ગયા નહીં. તમામ ૨૫ લોકોની હાલત હાલ ખતરાની બહાર છે. પોલીસના જણાવ્યાં મુજબ પહેલા તમામની સારવાર સદર હોસ્પિટલમાં ચાલી રહી હતી. ત્યારબાદ ૧૦ લોકોને સારી સારવાર અર્થે અન્ય મોટી હોસ્પિટલમાં રેફર કરાયા. ડોક્ટર્સના જણાવ્યાં મુજબ આ બધાને પ્રાથમિક સારવાર આપી દેવાઈ છે અને હાલ બધાની સ્થિતિ સામાન્ય છે.
Recent Comments