ભાવનગર

ઓક્સિજનનું લેવલ યોગ્ય હોય તેવા લોકોએ ઘરે લઇને જ સારવાર લેવી જોઈએ – ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના પ્રમુખ શ્રી ડો.દર્શન શુક્લ

કોરોનાની સાંકળ તોડવા દરેક નાગરિક કોરોના ટેસ્ટ કરાવી કોરોના સામેની લડાઇમાં પોતાનું યોગદાન આપે તે હાલના સમયે ખૂબ જરૂરી છે. કોરોનાનું નિદાન થતા વ્યક્તિ હોમ આઈસોલેશન થઈ પોતાના બાળકો, વડીલો, સ્નેહીઓ તથા મિત્ર વર્તુળને કોરોના સંક્રમણથી સુરક્ષીત રાખી શકે છે. ઘરમાં જો ૫ વર્ષથી નાની ઉંમરના બાળકો, ૬૦ વર્ષથી મોટી ઉંમરના વડીલો અથવા તો કોઈ સગર્ભા સ્ત્રી હોય ત્યારે બહાર જતા વ્યક્તિએ કોરોના તપાસ કરાવવી અત્યંત જરૂરી બની રહે છે. આ શબ્દો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તથા બજરંગદાસ બાપા આરોગ્ય ધામના ક્રિટિકલ કેર નિષ્ણાત ડો.દર્શન શુકલના.

ડો.શુક્લ જણાવે છે કે, રાજ્યમાં બીજા  તબક્કામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જ રીતે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના થઇ ગયો હોય તો તેનાથી ડરવાની જરૂર નથી. જો ખરેખર કોરોના થયો હોય અને જે લોકોમા ઓક્સિજનનું લેવલ યોગ્ય છે તેમણે ઘરે રહીને જ સારવાર લેવી જોઈએ. જેથી રીકવરી રેટ પણ વધુ રહે છે. જે લોકોમાં કોરોનાના લક્ષણો સામાન્ય કે હળવા છે અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે તેમણે ઘરે રહીને જ કોરોનાની સારવાર લેવી જોઈએ. જેથી સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં બેડ પરનું ભારણ અટકે છે અને રેમડેસીવીર ઇન્જેક્શનની પણ જરૂરીયાત ઉભી થતી નથી.

જો ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં ઘટે તો જ ડોક્ટરની સલાહ પ્રમાણે હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેવી જોઈએ. જો સૌ કોરોના ટેસ્ટ કરાવે તો આવનારા વર્ષમા જ કોરોના સંક્રમણને અટકાવવામાં આપણે ચોક્કસ સફળ થઈશું.

તમે કરાવેલ ટેસ્ટ માત્ર તપાસ માટે જ નહીં, પરંતુ પરિવારના બાળકો તથા વડીલો માટે પણ એટલી જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે ત્યારે ભાવેણાની જનતા વધુમાં વધુ ટેસ્ટ કરાવે અને કોરોનામુક્ત ભાવનગર બનાવવા સહયોગી બને તેવી તેમણે અપીલ કરી છે

Related Posts