રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ ૮ માર્ચે આવશે ભારત

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ૮મી માર્ચથી ભારતની ૪-દિવસીય મુલાકાતે આવશે, જેનો ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને મહત્વપૂર્ણ ખનિજાે સહિતના અનેક ક્ષેત્રોમાં એકંદર દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાનો છે. ગયા વર્ષે મે મહિનામાં વડાપ્રધાન બન્યા બાદ, આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. વિદેશ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ૮ થી ૧૧ માર્ચ દરમિયાન ભારતની સરકારી મુલાકાતે આવશે.”

અલ્બેનીઝની સાથે વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ અને સંસાધનો અને ઉત્તરી ઓસ્ટ્રેલિયા મંત્રી મેડેલીન કિંગ ઉપરાંત એક ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ પણ ભારતની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અલ્બેનીઝ હોળીના દિવસે ૮ માર્ચે અમદાવાદ પહોંચશે. આ પછી તે ૯ માર્ચે મુંબઈ જશે અને તે જ દિવસે દિલ્હી આવશે. માનવામાં આવે છે કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને પીએમ મોદી ૯ માર્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં બંને દેશોની ટેસ્ટ મેચ પણ નિહાળી શકે છે. ૧૦ માર્ચે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં એન્થોની અલ્બેનીઝનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. આ બાદ, વડાપ્રધાન મોદી અને ઑસ્ટ્રેલિયન પીએમ વાર્ષિક શિખર સંમેલન કરશે, જેમાં ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહકારના ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે બંને પરસ્પર હિત સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ગાઢ બન્યા છે. જૂન ૨૦૨૦ માં બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન અલ્બેનીઝની મુલાકાત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વેગ આપશે તેવી અપેક્ષા છે.” એન્થોનીએ ટ્‌વીટ કર્યું કે, “હું ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છું.” ભારત સાથેના અમારા સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. સતત, પરંતુ તે મજબૂત બની શકે છે.

Related Posts