રાષ્ટ્રીય

કાબુલના ગુરુદ્વારા તાલિબાની નેતા દ્વારા હિન્દુઓ અને શીખોને મદદની ખાત્રી આપી

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા વચ્ચે કાબુલના ગુરુદ્વારાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ શેર કર્યો છે. તેમાં જાેવા મળે છે કે તાલિબાન નેતાઓ કાબુલના ગુરુદ્વારા સાહિબ પહોંચ્યા છે. આ વીડિયો બાબતે મનજિંદર સિંહ સિરસા કહે છે કે તાલિબાનોએ કાબુલના ગુરુદ્વારામાં આશરો લીધેલા હિન્દુઓ અને શીખોને મળીને તેમને સુરક્ષાની ખાતરી આપી છે. સિરસાનું એવું પણ કહેવું છે કે અફઘાનિસ્તાનમાં જે ભારતીય પરિવાર ફસાયા છે તે બાબતે વડાપ્રધાન કાર્યાલય સાથે વાત કરી છે. ત્યાંથી જાણવા મળ્યું છે કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકો માટે શરૂ કરવામાં આવેલી નવી યોજના હેઠળ તમામ વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. સિરસાનું કહેવું છે કે તેમણે કાબુલમાં ગુરુદ્વારા સમિતિના પ્રમુખ ગુરનામ સિંહ સાથે પણ વાત કરી છે. તેમણે કહ્યું હતું કે વિદેશ મંત્રાલયના લોકો તેમના સંપર્કમાં છે અને દરેકના વિઝા પણ મંજૂર કરવામાં આવ્યા છે. હવે કાબુલ છોડવાની રાહ જાેવાઇ રહી છે. આ દરમિયાન આજે ૬ લોકોને ગુરુદ્વારાથી એરપોર્ટ પર પણ લઈ જવામાં આવી રહ્યા છે. તાલિબાન શાસન વચ્ચે અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પણ તાલિબાન અને પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું- ‘તમામ દેશોએ કાનૂની ધોરણોનું સન્માન કરવું જાેઈએ, હિંસાનું નહીં, અફઘાનિસ્તાન એટલું મોટું છે કે પાકિસ્તાન એને ગળી શકે તેમ નથી કે તાલિબાન તેના પર શાસન કરી શકે તેમ નથી. અમાનવીયતા અને આતંકવાદીઓ સામે શરણે થવાના પ્રકરણને તમારા ઇતિહાસમાં ઉમેરવા ન દો. સાલેહે એમ પણ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવનારા અને દેશના સન્માન માટે આગળ આવનારાઓને સલામ કરે છે. સાલેહનું આ નિવેદન જલાલાબાદની ઘટના બાદ આવ્યું છે, કારણ કે ગુરુવારે જલાલાબાદ સહિત કેટલાક વિસ્તારોમાંથી અફઘાન ધ્વજ લહેરાવતી તસવીરો સામે આવી હતી. અફઘાનિસ્તાન પર કબજાે કર્યા પછી તાલિબાન ભલે દાવો કરી રહ્યા છે કે આ વખતે તેમનું શાસન પહેલાં જેવું રહેશે નહીં, પરંતુ વાસ્તવિકતા સામે આવી રહી છે. ત્રણ દિવસ પહેલાં કાબુલ કબજે કર્યા બાદ તાલિબાને કહ્યું હતું કે જેઓ અફઘાનિસ્તાન છોડવા માગે છે તેમને રોકવામાં આવશે નહીં, પરંતુ હવે તેમણે કાબુલ એરપોર્ટને ઘેરી લીધું છે અને લોકોને એરપોર્ટ સુધી પહોંચતાં પહેલાં જ અટકાવવામાં આવી રહ્યા છે. માત્ર વિદેશીઓને બહાર જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી રહેલા તાલિબાનોએ પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. તાલિબાન નેતા વહીદુલ્લાહ હાશિમીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોઈ લોકશાહી વ્યવસ્થા રહેશે નહીં, કારણ કે અહીં એનું કોઈ અસ્તિત્વ જ નથી. હાશિમીએ સમાચાર એજન્સી રોઇટર્સને કહ્યું હતું કે તાલિબાને એ જતાવવાની કોઈ જરૂર નથી કે અફઘાનિસ્તાનની સરકાર કેવી હશે, કારણ કે એ એકદમ સ્પષ્ટ છે કે અહીં શરિયા કાયદો જ ચાલશે. અફઘાનિસ્તાન પર કબજાે કર્યા પછી તાલિબાન દાવો કરી રહ્યું છે કે તે ક્રૂરતા બતાવશે નહીં, પરંતુ તેની વાસ્તવિકતા સામે આવી રહી છે. એમાં એવી તસવીરો સામે આવી રહી છે કે તાલિબાનના આતંકવાદીઓ અફઘાનિસ્તાન છોડવા કાબુલ એરપોર્ટ પહોંચેલા લોકો પર ચાબુક અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલા કરી રહ્યા છે. હવે લોકોને એરપોર્ટની અંદર જવા દેવામાં આવતા નથી. સામાન્ય અફઘાની લોકો માત્ર એરપોર્ટ ગેટ સુધી પહોંચી શકે છે. દરમિયાન કાબુલ એરપોર્ટ પર ગુરુવારે રાત્રે ફરી ફાયરિંગ થયું. જાેકે એવું કહેવામાં આવી રહ્યું છે અમેરિકન સૈનિકો દ્વારા ભીડને કાબૂમાં રાખવા ચેતવણી રૂપે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કાબુલ એરપોર્ટ પર અરાજકતાનું વાતાવરણ છે. અમેરિકા તેના લોકોને એરલિફ્ટ કરવામાં વ્યસ્ત છે. જ્યારે અફઘાનિસ્તાનથી હજારો લોકો પણ ત્યાંથી બહાર નીકળવા માટે કાબુલ એરપોર્ટ પહોંચી રહ્યા છે, પરંતુ તાલિબાન તેમને ગેટ પર જ રોકી રહ્યું છે. એવા અહેવાલો પણ છે કે કેટલીક મહિલાઓ પોતાનાં બાળકોને કાંટાળા તારની દીવાલ ઉપર એરપોર્ટની તરફ ઉતારી રહી છે, જેથી બીજી બાજુ અમેરિકન સૈનિકો તેમને લઈ શકે અને તેઓ એરપોર્ટની અંદર પહોંચી જાય. જ્યારે અમેરિકાનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાંથી અત્યારસુધીમાં ૯ હજાર લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. તાલિબાને અફઘાન સેનાના ૪ કમાન્ડરને કંદહારના એક સ્ટેડિયમમાં ભીડની સામે જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના ૧૫ ઓગસ્ટના રોજ બની હતી. ૧૩ ઓગસ્ટના રોજ આ કમાન્ડરોએ તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તાલિબાન સમર્થકોએ કંદહારના શાહ વાલી કોટના પોલીસવડા પાચા ખાનની પણ હત્યા કરી છે. તાલિબાન સમર્થકોએ કહ્યું હતું કે પાચા ખાન એક ભયાનક કમાન્ડર હતો, જે તાલિબાન લડવૈયાઓના નખ પણ ઉખેડી નાખતો હતો. માફીની જાહેરાત કરતાં પહેલાં તાલિબાને તેની હત્યા કરી હતી.

Related Posts