અમરેલી

કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતીય સતામણી (અટકાયત પ્રતિબંધ નિવારણ) અધિનિમય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતીય સતામણી (અટકાયત પ્રતિબંધ નિવારણ) અધિનિમય-૨૦૧૩ અંગે માહિતી આપવાના હેતુથી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો. અમરેલી સ્થિત નેત્ર ચિકિત્સા, આયુર્વેદ કોલેજ ખાતે જિલ્લા ન્યાયાધિશશ્રી એમ.જે. પરાશરના અધ્યક્ષ સ્થાને  યોજાયેલા આ સેમિનારમાં  બી.એ.એમ.એસ.અભ્યાસક્રમની વિદ્યાર્થિનીઓને મહિલાઓને થતી જાતીય સતામણી (અટકાયત પ્રતિબંધ નિવારણ) અધિનિમય-૨૦૧૩ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, કાયદો અને ન્યાયતંત્ર મહિલાઓની મદદ માટે છે. સેમિનારમાં અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા PoSH Act ની મહત્વની જોગવાઈઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.

    કાર્યસ્થળ પર જાતીય સતામણીને લગતી બાબતો સામે માર્ગદર્શન મળી રહે તે માટે ‘વિશાખા ગાઈડલાઈન’ અને તેની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. મહિલા લક્ષી કાયદાકીય જોગવાઈઓ વિશે એડવોકેટશ્રી નિકુબેન પંડ્યાએ માહિતી આપી હતી. શ્રી નીતાબેન ચૌહાણે મહિલા અને બાળ વિકાસ વિભાગની તમામ કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતો આપી હતી. કાર્યક્રમમાં અમરેલી કોર્ટના રજિસ્ટ્રારશ્રી, આર.એમ. પાનસુરીયા, કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પવન કુમાર, કર્મયોગીશ્રીઓ તેમજ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનિઓ અને શિક્ષકશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts