રાષ્ટ્રીય

કેન્દ્રીય મંત્રીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક પછી એક વિવાદો સતત સામે આવી રહ્યા છે. તેને લઈને હવે રાજકારણમાં પણ બયાનબાજીઓ શરૂ થઈ ગઈ છે. પહેલા જેડીયુ અને આરજેડીએ ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા તેને લઈને પ્રશ્ન ઊભા કર્યા હતા. તેવામાં હવે કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ બાગેશ્વર ધામ અને ધીરેન્દ્ર શાસ્ત્રીનું અપમાન કરનાર લોકો પર નિશાન સાધ્યું છે. તેમણે આ અંગે નિવેદન આપતા એક વિવાદસ્પદ વાત કહી દીધી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબે બિહારના બક્સર પહોંચ્યા હતા. અહીં જ્યારે તેમને ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યા તો તેને જવાબમાં કહ્યું હતું કે, બાગેશ્વર બાબા હાથી જેવા છે અને તેનું અપમાન કરનાર લોકો કુતરા સમાન છે. જ્યારે હાથી જાય છે તો આસપાસ કુતરા ભસે છે. જે લોકો બાબા ઉપર ભસે છે તે ભસતા રહેશે તેનાથી બાબાને કોઈ અસર નહીં થાય. તેઓ આટલેથી અટક્યા નહીં અને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બિહારમાં યુવા સંતનું અપમાન થયું છે. અહીં તેમના પોસ્ટર ફાડવામાં આવ્યા અને તેના ઉપર કાળી સ્યાહી લગાડવામાં આવી. બિહારના ભક્ત આ વાતનો બદલો લેશે. બિહારના લોકો આવા લોકોને દરિયામાં ફેંકી દેશે. મહત્વનું છે કે આ વિવાદની શરુઆત ત્યારે થઈ જ્યારે પટનાથી એમપી જવા માટે ધીરેન્દ્ર શાસ્ત્રી માટે પ્રાઈવેટ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી. આ ઉપરાંત પટના એરપોર્ટથી લઈ રનવે સુધી બાબાના ભક્તો પહોંચ્યા હતા તેને લઈ મહાગઠબંધને ભાજપ પર નિશાન સાધ્યું હતું.

Related Posts