ભારત સરકારના શિપીંગ, પોર્ટ્સ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલ આજે ભાવનગર જિલ્લાના પ્રવાસે હતાં.તેમણે આજે વરતેજ નજીકના નવાગામ ખાતે આવેલા કન્ટેનર મેન્યુફેક્ચરિંગ એકમની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ કન્ટેનર નિર્માણના વિવિધ તબક્કાઓની વિગતવાર માહિતી લીધી હતી.
આ સુવિધા ૭૫,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી છે. એક અંદાજ પ્રમાણે સુવિધા સંપૂર્ણ કાર્યક્ષમતામાં પ્રતિ દિવસ ૫૦ નંગ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ સુવિધાને પહેલાથી જ કોન્કોર તરફથી ૧૦,૦૦૦ કન્ટેનરનો ઓર્ડર મળ્યો છે. આમ, આટલો મોટો ઓર્ડર મેળવનારી તે પ્રથમ ભારતીય કન્ટેનર મેન્યુફેક્ચરિંગ કંપની બની છે.
મુલાકાત બાદ મંત્રીશ્રીએ પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બની રહ્યું છે. તેમાં પણ ભાવનગર હવે કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
કન્ટેનરની અછતની પરિસ્થિતિ સામે હવે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે તેવી પરિસ્થિતિમાં કન્ટેનર નિર્માણનું હબ બની ભાવનગર સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે અને ભારત અને ગુજરાતનું નામ વધુ રોશન કરશે.
આ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રીશ્રી ઉપરાંત શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ (સાંસદશ્રી ભાવનગર), ડૉ. સંજીવ રંજન ( IAS) (સચિવ, શિપિંગ), શ્રી રાજેશ કુમાર સિંહા, (અધિક સચિવ શિપિંગ), શ્રી ભૂષણ કુમાર, (સંયુક્ત સચિવ, શિપિંગ), શ્રી રાજીવ જલોટા (ચેરમેન,IPA), શ્રી સુજીત કુમાર, (IAS) (મંત્રીશ્રીના PS), શ્રી યોગેશ નીરગુડે (IAS) (કલેકટરશ્રી ભાવનગર), શ્રી રવીન્દ્ર પટેલ (IPS) (જિલ્લા પોલીસ અધિક્ષક, ભાવનગર), શ્રી એસ.કે.મહેતા (IFS) (અધ્યક્ષ,DPA), શ્રી નંદીશ શુક્લા (IRTS) (ઉપાધ્યક્ષ DPA), નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય શ્રી રાહુલ મોદી સહિતના અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ આ સુવિધાની મુલાકાત લીધી હતી.
Recent Comments