ગુજરાત

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે મોટા નેતાઓ સામે હાઇકમાન્ડમાં ફરિયાદ કરી

ભાજપ એક તરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઇને નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે પાર્ટી લાઇનથી વિરૂદ્ધ ચાલતા નેતાઓ સામે હાઇકમાન્ડમાં ફરિયાદ પણ કરી હોવાનું નિવેદન આપ્યું છે. એક તરફ કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા તેમજ વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલે ખોડલધામ ખાતે મીટિંગ કરતા તેમના કોંગ્રેસ સામેના બળવાની વાત વહેતી થઇ હતી.

બીજી તરફ જગદિશ ઠાકોરે પાર્ટીને નુકસાન કરનારા મોટા નેતાઓ સામે પગલાં લેવા હાઇકમાન્ડને ફરિયાદ કરી હોવાનું નિવેદન આપ્યું હતું. નેતાઓના સામસામા નિવેદન આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે પણ આ પ્રકારની હરકતો સામે નેતાઓને ચેતવણી આપતું નિવેદન કર્યુ છે. ઠાકોરે કહ્યું કે કોંગ્રેસના કેટલાક મિત્રોને મીડિયા મારફતે વાત કરવાની ટેવ પડી છે. આવા લોકોને કહેવાનું કે કંઇ પણ વાત હોય તો સામે આવો. તમારા બનાવેલા પ્રમુખ કિરીટભાઇને મત આપજાે અને લોકસભામાં તમારે ભાજપને મત આપવો હોય તો આપજાે.

આ અંગે શિસ્તભંગની વાત આવે તો તમે એમ કહો છો કે અમારી સાથે છે તેને ટાર્ગેટ કરો છો. શિસ્ત સમિતિની બેઠક બોલાવવા અને પેન્ડિંગ કેસો તૈયાર કરવા જ સૂચના આપવામાં આવી છે. સામાન્ય કાર્યકરોને સજા થાય અને મોટા લોકો પાર્ટીને બેફામ નુકસાન કરે તે નીતિ પણ ખોટી છે. બીજીતરફ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે જે લોકો પાર્ટીની વિરૂદ્ધમાં કાર્ય કરે છે તેમની સામે પગલાં લેવામાં આવે. આ બાબતે અમે મળવાના છીએ. કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે મારી નારાજગી એના માટે છે કે કોંગ્રેસનું સંગઠન કઇ રીતે મજબૂત બને અને ગત વિધાનસભામાં પક્ષ વિરોધી કામ કરનાર સામે પગલાં કઇ રીતે લેવાય.

Related Posts