ગુજરાત

કોરોનાકાળામાં સ્કૂલ બંધ થતાં ૮ વર્ષના ઋષિએ ‘ગીતા’નાં ૭૦૦ શ્લોક કંઠસ્થ કર્યા

કોરોનાકાળ મહામારીમાં શાળાઓ બંધ થઇ જતાં બાળકો મોબાઇલ અને ટીવીની દુનિયામાં વ્યસ્ત થઇ ગયા હતાં ત્યારે જામનગરની કેન્દ્રીય વિદ્યાલય નં. ૨માં ધો. ૪માં અભ્યાસ કરતો ૮ વર્ષનો બાળક ઋષિ રેનિશભાઈ પરસાણીયા જે પંડિતોને પણ અચંબિત કરે તેમ શ્રીમદ ભગવદ્‌ ગીતાનાં ૭૦૦ શ્લોક શુદ્ધ ઉચ્ચાર સાથે બોલે છે. ઋષિ તેના માતા રીનાબેનના માર્ગદર્શનથી રોજના ૮ થી ૧૦ શ્લોક દિવસમાં ૧૦-૧૦ વખત વાગોળીને ટૂંકા સમયગાળામાં સંપૂર્ણ ગીતાજી કંઠસ્થ કરી શક્યો અને બીજા સંસ્કૃતના શ્લોકો અને સ્તોત્રો પણ કંઠસ્થ કર્યા છે અને તેને યાદ રાખવા દરરોજ સાતત્ય પૂર્વક પારાયણ કરવાનો અવિરત પ્રવાહ ચાલુ રાખ્યો છે.

જામનગરમાં ગ્રીનસીટીમાં રહેતા રેનિશભાઈ વિઠલભાઈ પરસાણીયા અને રીનાબેન રેનિશભાઈ પરસાણીયાનાં ૮ વર્ષનો પુત્ર ઋષિએ લોકડાઉનનાં ટૂંકા સમયગાળા દરમિયાન શ્રીમદ ભગવદ્‌ ગીતાનાં ૭૦૦ શ્લોક કંઠસ્થ કરી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. ઋષિનાં દાદા વિઠલભાઈ પરસાણીયા પણ આ કૃતિ બાબતે સતત પ્રોત્સાહિત કરતાં હતાં. ઋષિના માતા-પિતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના સ્વાધ્યાય કાર્ય સાથે જાેડાયેલા છે.

સ્વાધ્યાય કાર્યના અનેક પ્રયોગોમાનો એક પ્રયોગ એટલે બાળ સંસ્કાર કેન્દ્ર. આ કેન્દ્રમાં નિયમિત જનાર આ બાળકે પાંડુરંગ શાસ્ત્રીજી (દાદાજી)ના ૧૦૦માં વર્ષે શ્રીમદ ભગવદ્‌ ગીતાનાં ૭૦૦ શ્લોક કંઠસ્થ કરીને દાદાજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ઋષિના જણાવ્યા મુજબ આ શ્લોકો શીખવામાં ખૂબજ મજા આવી છે અને આના લીધે મને ભણવાનું પણ સરળ લાગે છે અને મારી યાદશક્તિ પણ ધણી વધી છે.

Related Posts