અમરેલી

કોર્ટ કેસ થતાં પહેલાં જ કાયમી પ્રિલીટીગેશન લોક અદાલતમાં વૈવાહિક ઝઘડાનું સુખદ સમાધાન

  છૂટાછેડા જેવા કેસમાં દંપતિને મૈત્રીપૂર્ણ રીતે સાંભળવામાં આવે અને સમજાવવામાં આવે તો તૂટવાનાં આરે આવી ગયેલાં સંબંધોને બચાવી શકાય છે. આવા જ એક શુભ આશયથી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રીએ સમગ્ર રાજયમાં જિલ્લા મથકે વૈવાહિક તકરાર નિવારણ અર્થે કાયમી પ્રિલીટીગેશન લોક અદાલતનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં લગ્ન સંબંધિત તકરારોનું મૈત્રીપૂર્ણ અને શાંતિસભર વાતાવરણમાં સમાધાન કરવામાં આવે છે. કોઈપણ જાતનાં વકીલ ખર્ચ કે પોલીસ કેસ કે કોર્ટ કેસ કર્યા વગર જ આ સમાધાન પ્રક્રિયામાં ભાગ લઈ શકાય છે.

       આવી જ એક લગ્ન સંબંધી તકરારની અરજી આ લોકઅદાલત સમક્ષ અરજદાર મહિલા દ્વારા લાવવામાં આવી હતી. બનાવની હકીકત એવી છે કે, આ દંપતિનાં પાંચ મહિના પહેલાં લગ્ન થયા હતાં, પરંતુ થોડા જ સમયમાં ગેરસમજો ઉભી થવા લાગી હતી અને ખટરાગ વધતાં મહિલા પોતાના પિયર પરત ફરી હતી. બાદમાં તેમણે અમરેલી ફેમિલી કોર્ટ મારફત વૈવાહિક તકરાર નિવારણ માટેની કાયમી પ્રિલીટીગેશન લોક અદાલત સમક્ષ અરજી મૂકી હતી.

      અરજી મળતાં, લોક અદાલતની બેંચ દ્વારા બંને પક્ષકારોને નોટિસ કરી લોક અદાલત સમક્ષ બોલાવવામાં આવ્યા હતાં. સભ્યશ્રી તરીકે સેવા આપતાં શ્રી એમ. જે. સૈયદ, પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને તાલીમ પામેલાં મીડીયેટર શ્રી. એચ. એચ. સેજુ દ્વારા વિવાદગ્રસ્ત દંપતિને વારાફરતી સાંભળવામાં આવ્યા અને તેમની વચ્ચે સંવાદિતા સર્જાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યાં.

      એકદમ ગુપ્ત અને તટસ્થ વાતાવરણમાં બંને પક્ષકારોનાં વિવાદનાં મુદ્દાઓને સમજી, સંયુકત પ્રયાસોથી સુખદ અને કાયમી નિરાકરણ લાવવામાં આવ્યુ. આખરે બંને પક્ષકારો વચ્ચે સમજૂતી થતાં તેનુ લખાણ કરવામાં આવ્યુ અને એ રીતે પતિ-પત્ની એક છત નીચે જીવન જીવવા માટે હસતાં-હસતાં વિદાય થયા હતાં.

      આમ, દાંપત્યજીવનનાં વિવાદોને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાનાં હેતુથી કાર્યરત આ પારિવારિક પ્રિલીટીગેશન લોક આદલતનો ઉદેશ પારિવારિક સુખાકારી વધારવાનો છે, જે ઉદ્દેશ આ રીતે સફળ થઈ રહ્યો છે, તેમ અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરીશ્રી. આર.વાય. ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts