અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી સાથે કોલેરા સહિતનો ખાણીપીણી જન્ય રોગચાળો વકરતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફૂડ વિભાગ દ્વારા શહેરના દરેક ઝોનમાં બરફ ગોળા, શેરડીનો રસ અને પાણીપૂરી તથા લારીઓમાં વેચાતાં અન્ય ખાદ્યપદાર્થોનાં ધંધાર્થીઓ તપાસ કરી જરૂર લાગે ત્યાંથી નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉનાળાની મોસમમાં બીજી બાજુ સાંજ પડે તમામ વિસ્તારોમાં રોડ ઉપર બરફ ગોળાની લારીઓ ખડકાઇ જાય છે.તેવી જ રીતે ઠેર ઠેર પાણીપૂરીની લારીઓ ખુલી ગઇ છે અને શેરડીનાં રસનાં સંચાની સંખ્યા પણ વધી ગઇ છે. તો પામોલીન પ્રકારનાં તેલમાંથી આઇસક્રીમ તથા કુલ્ફી બનાવી વેચનારી લારી-ગાડીઓ અનેક જગ્યાએ ઉભેલી જોવા મળે છે. આ પ્રકારનાં ધંધાર્થીઓને ત્યાં સ્વચ્છતા સહિતના નિયમોનું પાલન નહિ થતું હોવાથી તેમજ હલકી ગુણવત્તાનાં કારણે કોલેરા, ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ વગેરે પ્રકારનાં કેસ વધ્યા હોવાનુ કમિશનરની મીટિંગમાં ચર્ચાયું હતું.
તેના પગલે મ્યુનિ. ફૂડ વિભાગે મેંગો મિલ્ક શેક, શેરડીનો રસ, બરફના ગોળા, આઇસ ફેક્ટરી, પાણીપૂરી વગેરેનાં ધંધાર્થીઓને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરી છે. મ્યુનિ. ફૂડ વિભાગનાં સૂત્રોએ સ્વીકાર્યું હતું કે, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તમામ વિસ્તારોમાં રોડ અને ફૂટપાથ ઉપર ખાણીપીણીનાં ધંધાર્થીઓનું પ્રમાણ ચોંકાવનારી હદે વધી ગયું છે. તેમા મોટાભાગનાં ધંધાર્થી તગડો નફો રળવા માટે હલકી ગુણવત્તાની તેમજ ભેળસેળવાળી ચીજવસ્તુઓનો ઉપયોગ કરતાં ખચકાતા નથી. ખાસ કરીને ફાસ્ટફૂડના ધંધાર્થીઓ તેમજ નાની રેસ્ટોરન્ટમાં બટર, પનીર, ટોમેટો સોસ, વગેરે ચીજવસ્તુઓ હલકી ગુણવત્તાની વાપરે છે. કેટલાક ખેપાની ધંધાર્થીઓ તો અમૂલ જેવા બ્રાન્ડેડ અને વિશ્વસનીય બટર અને પનીરનાં ડબામાં લોકલ બનાવટનાં બટર-પનીર ભરીને ગ્રાહકોને છેતરવાનો ધંધો કરે છે.
સૂત્રોએ કહ્યું કે, મ્યુનિ.હદ વિસ્તરણ અને વિકાસ સાથે તમામ વિસ્તારોમાં ખાણીપીણીનો ધંધા જોરશોરથી શરૂ થઇ ગયાં છે તે તમામને ત્યાં નિયમિત ચેકિંગ થતું નથી તેના કારણે અનેક ધંધાર્થી જાહેર આરોગ્યને હાનિ પહોંચે તેવી ચીજવસ્તુ વાપરતાં ખચકાતા નથી. તેમ છતાં છેલ્લા એક સપ્તાહમાં મ્યુનિ. ફૂડ વિભાગની ટીમોએ જુદા જુદા વિસ્તારોમાંથી વિવિધ પ્રકારનાં ખાદ્યપદાર્થોનાં ૬૮ જેટલાં નમૂના લઇ તપાસ માટે મોકલ્યા છે.
મ્યુનિ. ફૂડ વિભાગની ટીમોની તપાસ દરમિયાન ૩૧૯ એકમમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ૩૧૭ કિલો અને ૪૭૨ લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કરાવીને ૧૪૦ વેપારીને નોટિસ ફટકારી ફક્ત ૪૬ હજાર રૂપિયા વહિવટી ચાર્જ વસૂલ કર્યો હતો. સૂત્રોએ કહ્યું કે, માર્ચ મહિનાનાં અંતિમ સપ્તાહમાં ફૂડ વિભાગની ટીમોએ વિવિધ પ્રકારનાં ખાદ્યપદાર્થનાં નમૂના લીધા હતા તેમાંથી નવ નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયાં છે. તેના પગલે જેને ત્યાંથી નમૂના લેવાયા હતા તે વેપારી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
Recent Comments