ખેડૂતોને પેરા વિલ્ટ (નવો સૂકારો)/ સુદાન વિલ્ટ/ ન્યુ વિલ્ટનાં નિયંત્રણ માટેનાં પગલાં ભરવા અનુરોધ

અમરેલી જિલ્લાના ખેડૂતોને વર્તમાન ઋતુમાં પેરા વિલ્ટ (નવો સૂકારો)/ સુદાન વિલ્ટ/ ન્યુ વિલ્ટનાં નિયંત્રણ માટે ઉપયોગી પગલાં ભરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ એક જાતની દેહધાર્મિક વિકૃતી છે જેમાં શરૂઆતમાં પા પીળા પડી જાય છે. ધીમે ધીમે છોડ ઝાંખો પીળો પડી અને પાણીની અછત અનુભવતો હોય તેમ લાગે છે. પાન મુરઝાઇ જાય છે જેમાં મૂળ તંદુરસ્ત હોય છે તથા રસ વાહીનીઓ કે મૂળની છાલ બદામી કે કથ્થાઈ થતી નથી. આ વિકૃતિ કોઈ ફૂગ, જીવાણુ કે વાયરસથી થતી નથી. સામાન્યપણે પાણીની ખેંચ પછી ભારે વરસાદ થતા અથવા જીંડવા બેસતી વખતે ખાતર અને પાણીની ઉણપને કારણે તેમજ ઉષ્ણતામાન ૩૫- ૪૦°સે. કરતા વધુ હોય ત્યારે છોડ સુકાતા હોય છે.આ પ્રકારના સુકારામા છોડ ભાગ્યે જ મરતા હોય છે.
કારણો :
• હાઈબ્રિડ જાતોના માતૃ છોડ પૈકી કોઈ એક રોગપ્રેરક હોય ત્યારે જીંડવા બેસતી વખતે છોડ સૂકાય છે. • હલકી જમીનમાં ઘણી વખત છોડ આ રીતે સૂકાતા જોવા મળે છે. ઘણી વખત છોડમાં ખોરાક પાણી લઈ જતી વાહિનીઓ બંધ થઈ જવાથી છોડ સુકાય છે.
• હલકી ઢાળવાળી જમીનમાં પિયત માટેના લાંબા કયારામાં ઉપરની બાજુએથી પાણી ખાતર ઢાળની દિશામાં વહી જવાથી ઉપરના ભાગમાં પાણી અને ખાતરની ઉણપને કારણે છોડ સુકાતા જોવા મળે છે.
• શરૂઆતમાં જમીનમાં પાણી ભરાઈ રહેવાથી મૂળનો વિકાસ રૂંધાય છે. જેથી છોડની વિકાસ અવસ્થાએ સીમિત મૂળ વિસ્તારને લઈને જમીનમાંથી પોષક તત્વોનો ઓછા પ્રમાણમાં ઉપાડ થવાથી છોડ સૂકાય છે.
• હલકી જમીનમાં વાવેતર થવાથી ઘણી વખત જમીનમાંથી જરૂરી પોષક તત્વો છોડ ન લઈ શકવાને કારણે સૂકાય છે.
નિવારણના ઉપાયો :-
• પાણી ભરાય તેવી પરિસ્થિતી નિવારવી.
• સૂકાતા છોડને શરૂઆતમાં જમીનમાં પાણી પુરતા પ્રમાણમાં આપવું જેથી પાક બચાવી શકાય.
• અસગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો.
• પાણી અને ખાતરનું પ્રમાણ ભલામણ મુજબ અને યોગ્ય સમયે આપવું.
• હલકી જમીનમાં સારુ કોઠવાયેલું સેન્દ્રીય ખાતર આપી તેની ભેજસંગ્રહ શકિત વધારી શકાય છે અને પાણીની ખેંચ વખતે પિયત આપી પાકને બચાવી શકાય છે.
• વધુ વરસાદ બાદ વરાપે ખેડ કરવાથી અથવા છોડનાં મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આપવાથી અથવા પાલર પાણી આપવાથી ફાયદો થાય છે. મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણા પાડવા.
• છોડ ઉપર ફુલભમરી અને જીંડવાઓ બેઠા હોય ત્યારે પાણી અને પોષકતત્વોની અછત જોવા મળે ત્યારે ૧૯-૧૯- ૧૯(એન.પી.કે.) પાણીમાં દ્રાવ્ય ખાતર ૧૦૦ ગ્રામ + માઇક્રોમિકસ ગ્રેડ-૪, ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગળી પાન ઉપર છંટકાવ કરવો.
• પોટેશીયમ નાઈટ્રેટ 3 ટકા નું દ્રાવણ છાંટવાથી અથવા યુરીયાનું ૧ ટકાનું દ્રાવણ છોડના થડ ફરતે રેડવાથી સુકારાનું પ્રમાણ ઘટાડી રાકાય છે.
• કોબાલ્ટકલોરાઇડ છોડને ૧૦ પીપીએમ એટલે કે ૧૦૦ લીટર પાણીમાં ૧ ગ્રામ ઓગાળી દ્રાવણ બનાવવુંઅને ચિન્હો દેખાતા તાત્કાલીક છંટકાવ કરવો.
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, કે.વી.કે. ખેતી અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી(તાલીમ)નો સંપર્ક કરવો, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments