ભાવનગર

ગાંધીજીનાં વિચારોને વાચા આપતા સ્વચ્છતાગ્રહી કુંભણ કેન્દ્રવર્તી શાળાનાં ઇનોવેટિવ શિક્ષક દંપતિ 

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતીએ જાતે વર્ગખંડમાં સફાઈ કરીને નાના બાળકોને સફાઈ અને સ્વચ્છતાનાં પાઠ શીખવ્યા હતાં. ગાંધી વિચાર અને કેળવણીનાં પાયા ઉપર ચણાયેલ લોકભારતી સણોસરા અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા સંસ્થાનાં વિદ્યાર્થી શ્રી રમેશભાઈ બારડ હાલ મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં ઇનોવેટિવ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

        સરળ સ્વભાવનાં શિક્ષક દંપતિ શાળામાં જુદાં-જુદાં રચનાત્મક અભિગમ અને શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગ માટે તેઓ જાણીતા છે. ગાંધીજીનાં સફાઈ અને સ્વચ્છતાનાં ગુણનાં આગ્રહી છે. શાળામાં સમુહ સફાઈ, મેદાન સફાઈ, વર્ગ સફાઈ કે બાગાયત કામમાં હંમેશા બાળકોને પ્રોત્સાહન આપી જાતે સફાઈ કરીને સ્વચ્છતાનાં પાઠ શીખવે છે.

        ગાંધીજીનાં જીવન આધારિત મૂલ્યો તેમની શાળામાં સ્થાપિત કરેલા છે. ગાંધીજી માત્ર શરીરની જ નહીં પરંતુ આત્માની સફાઈ વિશે ચિંતન કરતા હતાં. તેઓ કહેતાં “જો આપણે સ્વચ્છતાનાં નિયમો સમજી લઈશું તેનું આચરણ કરીશું તો આપણે જ આપણાં દાક્તર બની જઈશું.”

        ગાંધીજી સ્વચ્છતાનાં ગુણ સમગ્ર ભારત દેશમાં વસતા નાગરીકોનાં દિલમાં સ્થાપિત કરવા માંગતાં હતાં. સણોસરા લોકભારતીનાં ગુરૂજનો શ્રી પ્રવીણભાઈ ઠક્કર, શ્રી અરૂણભાઇ દવે, શ્રી સતિષભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ ભટ્ટ, શ્રી દેવદાસભાઈ ગોહિલ, શ્રી હસિતભાઈ મહેતા, શ્રી શ્રીધરભાઈ ગજ્જર, શ્રી હસમુખભાઈ સુથાર, શ્રી ડાયાભાઈ સેંધવ, ભાવનાબેન પાઠક, રેખાબેન વ્યાસ વગેરેએ છાત્રાલય જીવનમાં સ્વચ્છતાને એક વિચાર તરીકે રજૂ કરેલ છે.

        તેમનાં જીવનમૂલ્યોને વારસામાં રાખી શિક્ષક દંપતિ વર્ગખંડનાં બાળકોને જાતે સ્વચ્છ કરે છે. કોઇ બાળક શાળાએ ભુલમાં કે ઉતાવળમાં અવ્યવસ્થિત શાળાએ આવી ગયું હોય તો શિક્ષક દંપતી દ્વારા તેને હાથ પગ ધોવડાવી સ્વચ્છ કરવામાં આવે છે. શ્રીમતી શીતલબેન ભટ્ટી બાળકોને માથું ઓળી દે છે. સફાઈ અને સ્વચ્છતાગ્રહી દંપતી દરેક બાળકનાં નખ તપાસી લે છે. જેનાં નખ મોટા હોય તેને નખ કાપવાની સુચના આપે છે તેમજ મધ્યાહન ભોજન પહેલાં વર્ગખંડનાં દરેક બાળકોને હેન્ડ વોશ લિક્વિડ આપીને હાથ સાફ કરાવે છે.

        આવી સ્વચ્છતાની નાની નાની ટેવો બાળકોને જીવનમાં રૂઢ થઈ જતી હોય છે. તાજેતરમાં આ ઇનોવેટિવ શિક્ષક દંપતિમાં શ્રીમતી શીતલબેન ભટ્ટીને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અને શ્રી રમેશભાઈ બારડને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત મળેલ છે. તેમનાં આ કાર્યને નાવિન્યપૂર્ણ અને રચનાત્મક કાર્યની નોંધ જિલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ લેવામાં આવી છે.

Related Posts