ગુજરાત

ગાંધીનગરની રચના સમયે જમીન આપનાર સાત ગામના ખેડૂતોનાં ધરણા પ્રદર્શન

ગાંધીનગર શહેરની રચના સમયે મહામૂલી જમીન આપનાર આસપાસના સાત ગામોના ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ નહીં આવતા ખેડૂતો દ્વારા ગાંધીનગરનાં ઈંદ્રોડા ગામે પ્રતિક ઉપવાસ અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આદેશ બાદ પણ હજી સુધી સાત ગામોમાં શહેર સમકક્ષ સુવિધાઓ પહોંચી નથી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેના પગલે અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડયો છે. પાટનગર ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે આસપાસના પાલજ, બાસણ, બોરીજ ઇન્દ્રોડા, ધોળાકુવા, આદીવાડા, ફતેપુરા ગામોની જમીન સંપાદિત કરીને શહેર વસાવામાં આવ્યું હતું. ત્યારે આ ગામના અસરગ્રસ્ત ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી તેમની પડતર માગણીઓ સંદર્ભે ગાંધીનગરમાં વિવિધ અધિકારીઓને રજૂઆત કરતા આવ્યા છે પરંતુ તેમનું કોઈ સાંભળવા તૈયાર નથી.

ત્રણ મહિના અગાઉ રાજ્યના મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક કરી હતી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે માર્ગ મકાન વિભાગ તેમજ અન્ય અધિકારી, કર્મચારીઓને સૂચના આપી હતી. આ ગ્રામ્ય વિસ્તારમાં સરકાર ગેરકાયદેસર ગણી રહી છે તેવા બાંધકામોને મંજૂર કરવા તેમજ શહેર સમકક્ષ સુવિધાઓ આ ગામોમાં આપવા માટે મુખ્ય માગણી હતી. જાેકે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ છેલ્લા ત્રણ મહિનાથી ગ્રામજનોના પ્રશ્નો સંદર્ભે કોઈ જ ગતિવિધિ શરૃ કરવામાં આવી નથી. જેના પગલે ખેડૂતોએ હવે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કર્યું છે અને ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ તેમજ ધરણા કરીને સરકાર સામે લડી લેવાનું નક્કી કર્યું હતું.

જે અન્વયે સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ ગાંધીનગરના ઈંદ્રોડા ગામે ધરણા પ્રદર્શન યોજ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ પડતર પ્રશ્નો અંગે સત્વરે નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે આ સાત ગામોના મતદારો અતિ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે ત્યારે સરકાર તેમને નારાજ કરે છે કે શું તે જાેવું રહ્યું.

Follow Me:

Related Posts