ગુજરાત

ગાંધીનગરમાં સરકારી મકાનોનો અનઅધિકૃત કબ્જાે રાખનાર સામે તંત્રની કાર્યવાહી, તંત્રે ૫૦ સરકારી મકાનો ખાલી કરાવ્યા

ગાંધીનગરમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને તેમની કક્ષા પ્રમાણેના આવાસ રહેણાંક સુવિધા માટે ફાળવવામાં આવે છે. પરંતુ બદલી, નિવૃતિ કે અવસાનના કિસ્સામાં તે સમય મર્યાદામાં ખાલી કરી દેવાના હોય છે આવા આવાસનો અનધિકૃત કબ્જાે જાળવી રાખવા બદલ પાટનગર યોજના વિભાગ દ્વારા ૩૨૫ કિસ્સામાં ઇવીક્શન કોર્ટ કેસ કરાયા હતા. જે પૈકી ૫૦ સરકારી મકાનો કોર્ટના આદેશના પગલે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ચાર દાયકા પહેલા બદલવામાં આવેલાં પૈકીના ૪ હજાર ૫૦૦ જેટલા આવાસ વપરાશમાંથી બાકાત થઇ ગયાં છે.

આ પૈકીના સેક્ડો જર્જરિત, જાેખમી અને ભયજનક આવાસ ઉતારી લેવામાં આવ્યા છે અને હજુ મોટી સંખ્યામાં તોડવામાં આવી રહ્યાં છે. ભયજનક આવાસો તોડીને ખુલી કરવામાં આવતી જગ્યામાં નવા ફ્લેટ ટાઇપ આવાસો બાંધવાના આયોજન પણ મોટા પાયે કરવામાં આવ્યા છે. સરકારી આવાસની સુવિધા મેળવવા માટે અરજદાર કર્મચારીઓની સંખ્યા ઘણી મોટી હોવાના કારણે તેમને આવાસની ફાળવણી કરવા માટે અગ્રતાક્રમ જાળવી રાખવા પાટનગર યોજના વિભાગની આવાસ ફાળવણી શાખા દ્વારા પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવે છે અને તેના પ્રમાણે આવાસની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ અહીં નાના કર્મચારીઓને ફાળવવામાં આવતા આવાસની મોટી ઘટ પડી રહી છે.

આ સંજાેગોમાં કર્મચારીની બદલી થવાના, નિવૃત થવાના અને અવસાન પામવાના કિસ્સામાં તેમને ફાળવવામાં આવેલા મકાન ઝડપથી ખાલી થાય તે અનિવાર્ય બની ગયું છે, પરંતુ તેમ બનતું નથી. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓને ફાળવવામાં આવતા મકાનના કિસ્સામાં પણ અનધિકૃત કબ્જાના કિસ્સાની સંખ્યા મોટી છે. પાટનગર યોજના વિભાગ દ્વારા આ સ્થિતિમાં ખરા અરજદારો માટે સરકારી આવાસ ઉપલબ્ધ બને તેના માટે ગેરકાયદે કબ્જાના કિસ્સામાં વિશેષ એવી ઇવિક્શન કોર્ટમાં ૩૨૫ કિસ્સામાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

જે અન્વયે કોર્ટના આદેશના પગલે વિભાગ દ્વારા ૫૦ સરકારી મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો એ કહ્યું હતું. અત્યાર સુધીમાં વિભાગ દ્વારા મકાન ખાલી કરવા વારંવાર નોટિસો આપવામાં આવી હતી. પરંતુ હવે વિભાગ દ્વારા લાલ આંખ કરીને કાર્યવાહી શરૂ કરતાં ગેરકાયદેસર કબ્જેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Related Posts