અમરેલી

ગાંધી નિર્વાણ દિને સજળ નયને સંસ્મરણ.

માત્ર મારી સાદગીએ એને શરમાવ્યા હશે, વસ્ત્ર  સૂતરનાં  પહેરીને  હરિ આવ્યા હશે !—ભરત વિંઝુડા

સાવરકુંડલાના કવિ ભરત વિંઝુંડાની કલમે કંડારાયેલ આ પંક્તિ આજે ગાંધી નિર્વાણ દિને આપની સમક્ષ સજળ નયને પ્રસ્તુત છે. આમ તો આજે ગાંધીજીનું સંસ્મરણ કરવાનો કદાચ હવે એકાદ બે ફોર્મલ દિવસ પૈકીનો  એક હશે..જો કે ખરાં અર્થમાં તો સાચા વૈષણવજનના હ્રદયમાં તો ગાંધી વિચાર અહર્નિશ ધબકતો જ રહે છે. જો કે સાંપ્રત સમયમાં ગાંધી વિચાર પ્રસ્તુત કરવા માટે પણ ઘણું મનોમંથન કરવું પડે છે. આ સંદર્ભે નરસિંહ મહેતાની એ પવિત્ર પંક્તિઓ વૈષ્ણવજન તો તેને કહીએ એ ખૂબ પ્રસ્તુત ગણાય.. રાગ દ્વેષથી પર રહીને સમદ્ર્ષ્ટિના સારથી થવું એ પણ ખાંડાના ખેલ ખેલવા જેવું તો ખરું.. અશક્ય નથી પણ કપરું તો ખરું.. ધીમે ધીમે ગાંધી વિચાર જાણે કોર્પોરેટ ક્ષેત્રમાં પણ કોર્પોરેટ કલ્ચરથી પ્રવેશતા હોય તેવું જોવા મળે છે

એટલે ગાંધી ખરાં અર્થમાં હજુ પણ જીવિત જ છે.. પેલાં નરો વા કુંજરો વા નહીં ! જો કે ગાંધીવિચારને આત્મસાત કરીને વ્યવહારુ જીવનમાં મૂકવાનું સૌભાગ્ય વિરલાંઓને જ પ્રાપ્ત થાય છે. ગ્રામ સ્વરાજ અને ગ્રામોદ્યારની એ શાશ્વત ભાવનાઓ ગાંધીજીના જીવનની એક ઝલક જ હોય શકે.. ક્યારેક સવજીભાઈ ધોળકિયા જેવા બિઝનેસ ટાઈફૂન પણ ગાંધીવિચારને આત્મસાત કરી શકે છે અને વ્યવહારમાં પણ ગ્રામોદ્યાર માટે અમલમાં મૂકી શકે છે. તો વળી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના દાદા ભગવાનબાપાએ પણ મહાત્મા ગાંધીનાં સર્વોદય વિચારને આત્મસાત કરીને સમૂહખેતીનો વિચાર આ વિસ્તારમાં તરતો મૂક્યો હતો.. આજે પણ મહેશભાઈ કસવાળાના પૈતૃક ખેતરોમાં ઓર્ગેનિક ખેતી થાય છે એ જ આ વિચારના પ્રભાવનું પ્રમાણ છે..

જો કે આવી ઘટનાઓ જવલ્લે જ જોવા મળે છે. સાદગી, શ્રમ, સ્વાધ્યાય અને સ્વાવલંબન અભિયાનનો એક અભિન્ન હિસ્સો ગાંધીવિચારને અર્પણ કરી શકાય. બાકી જે દિવસે ઘડાઘડા ત્રણ ગોળીઓ ચાલી હશે ત્યારે જ હેરામ કરીને એ ઢળી પડેલા દેહને જગતમાં સૌથી વધુ અસરકારક વિચારધારાના દ્યોતક માનવા સમગ્ર જગતે હામ ભરી હશે. ચાલો એક  નવયુગને  ગાંધીયુગમાં રૂપાંતરિત કરીએ એ જ સાચી ભાવાત્મક શ્રધ્ધાંજલી ગણાય.

બાકી ગાંધીના નામે માર્કેટિંગ પણ આ યુગમાં થઈ શકે છે એ વાત પણ સ્વીકારવી પડે છે.એ જ્યોર્જ પંચમ જેવા જગતના શક્તિશાળી મહાનુભવને પણ કહી શકે કે મારા દેશના લાખો કરોડો લોકો પર પહેરવા  પૂરતાં વસ્ત્રો ન હોય ત્યારે મારે પૂર્ણ વસ્ત્રથી શરીરને ઢાંકવું યોગ્ય ગણાય? આવી હિંમતવાળી વાતો કરવાનું અને જીવનમાં અમલીકરણમાં મૂકવાનું સામર્થ્ય કેળવવું એ જ સાચી ગાંધી જીવનની ફલશ્રુતિપૂર્ણ શ્રદ્ધાંજલિ હોય શકે.

Related Posts