ગુજરાત

ગુજરાતના 23 ધારાસભ્યોએ રાહુલ ગાંધીનો સમય માંગ્યો, પક્ષ સાથે છેડો ફાડી રહેલા કોંગી નેતાઓ અંગે પણ કરાશે મનોમંથન

ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા એમ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને એક પણ રાજ્યમાં નવો સંચાર જાગે તેવું પ્રદર્શન કોંગ્રેસ કરી શકી નથી.આવા સમયે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપનો સામનો કેવી રીતે કરવો અને તેને કેવી રીતે હરાવવું તે અંગેની રણનીતિ ઘડવા માટે ગુજરાતના 23 ધારાસભ્યોએ રાહુલ ગાંધીનો સમય માંગતો પત્ર લખ્યો છે.

આ ધારાસભ્યોમાં લલિત વસોયા, લલિત કગથરા સહિતના સામેલ છે જેઓ રાહુલ ગાંધી સાથે બેઠક કરવા માટે સમય મળ્યા બાદ જવાના છે. આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે તેઓ સહિત 23 જેટલા ધારાસભ્યોએ રાહુલ ગાંધીને પત્ર લખીને મુલાકાત માટેનો સમય માંગ્યો છે. આ મુલાકાતમાં ગુજરાતની હાલની સ્થિતિ ઉપરાંત ખેડૂત-બેરોજગારીના પ્રશ્નો સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.લલિત કગથરાએ જણાવ્યું કે તાજેતરમાં જ રાહુલ ગાંધી જ્યારે દ્વારકાની મુલાકાતે આવ્યા ત્યારે તેમની સાથે મુલાકાત થઈ શકી નહોતી. તેમણે કહ્યું કે 2017માં પાટીદાર આંદોલનની લહેર હતી અને તેના કારણે જ કોંગ્રેસને વધુ બેઠકો મળી હતી પરંતુ 2022માં સ્થિતિ કંઈક અલગ જ છે ત્યારે આ પ્રકારની સ્થિતિમાં ભાજપ સામે કેવી રીતે લડવું તેની રણનીતિ ઘડવા માટે બેઠક કરવી જરૂરી બની જાય છે. આ ઉપરાંત કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહેલા નેતાઓ વિશે પણ રાહુલ ગાંધી સામે બેઠક કરવામાં આવશે.

Related Posts