ગુજરાત

ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે છે જંગમ સંપત્તિ!

કેન્દ્ર સરકાર હવે વક્ફના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહી છે. વક્ફ બોર્ડની શક્તિઓ પર લગામ કસવા માટે સંસદમાં સંશોધન બિલ પસાર કરી શકે છે. પ્રસ્તાવિત સંશોધનો હેઠળ વક્ફ બોર્ડના દાવાઓનું ફરજિયાત પણે વેરિફિકેશન કરાવવામાં આવશે. આ સાથે જ વક્ફની વિવાદિત સંપત્તિઓની પણ ખરાઈ કરાવવાની જરૂરી રહેશે. સંશોધન દ્વારા કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની અમાપ તાકાતને ખતમ કરવા માંગે છે. કોઈ પણ સંપત્તિને પોતાની સંપત્તિ કહેવાના તેના ‘અનિયંત્રિત’ અધિકારમાં કાતર ફરી શકે છે.

હાલના અધિનિયમમાં ૪૦ સંશોધનનો પ્રસ્તાવ છે. પરંતુ શું તમને ખબર છે કે આખરે આ વક્ફ બોર્ડ શું છે અને તે કેવી રીતે કામ કરે છે અને આ સાથે જ ગુજરાત સહિત દેશમાં તેની કેટલી સંપત્તિ છે? જમીન મામલે વક્ફ બોર્ડ સેના અને રેલવે બાદ ત્રીજી સૌથી મોટી સંસ્થા છે. શરૂઆતમાં મૂળ રીતે સમગ્ર ભારતમાં વક્ફ બોર્ડ પાસે લગભગ ૫૨ હજાર સંપત્તિઓ હતી. ગત વર્ષ ફેબ્રુઆરીમાં અલ્પસંખ્યક મંત્રાલયે લોકસભામાં વક્ફ બોર્ડની સંપત્તિઓની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે મુસ્લિમોની આ સંસ્થા પાસે ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં કુલ ૮,૬૫,૬૪૬ અચલ સંપત્તિ હતી. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ૧૩ વર્ષમાં જ વક્ફ બોર્ડની સંપત્તિ બમણી થઈ ગઈ. ભારતમાં વક્ફ બોર્ડ પાસે ૨૦૦૯ સુધીમાં ચાર લાખ એકર જમીન પર ૩ લાખ રજિસ્ટર્ડ સંપત્તિઓ હતી

અને આજની તારીખમાં આઠ લાખ એકરથી વધુ જમીન પર ૮,૭૨,૨૯૨ સંપત્તિઓ છે. એક પ્રશ્ન એ પણ થાય કે આખરે ગુજરાતમાં વક્ફ બોર્ડની કેટલી સંપત્તિ છે? ત્યારે તમને જણાવી દઈએ કે જે માહિતી ઉપલબ્ધ છે તે મુજબ ગુજરાતમાં તેની સંપત્તિની સંખ્યા ૪૫ હજાર કરતા વધારે છે. જેમાં સ્થાવર સંપત્તિ જ ૩૯,૦૦૦ કરતા વધુ છે. જ્યારે બાકી જંગમ છે. આ મિલકતની જાે કિંમત આંકીએ તો કરોડોમાં જાય. વક્ફ બોર્ડની આ સંપત્તિમાં માત્ર કબ્રસ્તાન, મદરેસા, મસ્જિદ જેવી સંપત્તિઓ જ નહીં પરંતુ રહેઠાણ, ખેતીની જમીનો, દુકાનો તળાવો, પ્લોટ વગેરે પણ સામેલ છે.

ગુજરાતમાં વક્ફ બોર્ડની કુલ સંપત્તિ જાેઈએ તો ૩૯,૯૪૦ છે જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં ૧૫૪૨૫ સંપત્તિ, ત્યારબાદ સુરતમાં ૮૪૫૩, પછી ભરુચ ૪૧૬૩ મિલકત ધરાવે છે. જમીનની વાત કરીએ તો સૌથી વધુ ખેતી લાયક જમીન ૯૧૮ વક્ફ બોર્ડ ભરૂચ જિલ્લામાં ધરાવે છે. ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે કુલ જે સંપત્તિ છે તેનું વર્ગીકરણ જાેઈએ તો ૧૨,૩૯૫ ઘર, ખેતીલાયક જમીન ૩,૨૬૪, બિલ્ડિંગ ૬૫૩, દરગાહ કે મકબરા ૧,૭૩૪, ધાર્મિક શિક્ષણ પૂરું પાડતા દારૂલ ઉલુમ ૧૯, ઈદગાહ ૧૬૮, કબ્રસ્તાન, ૯૮૩, મદરેસા ૩૯૨, મસ્જિદ ૨,૯૯૯, પ્લોટ ૨,૨૩૫, શાળા ૨૨, દુકાન, ૬,૮૪૧ અને અન્ય મિલકતો જેમ કે તળાવ સહિત કુલ ૩૯,૯૪૦ સંપત્તિ ગુજરાત વક્ફ બોર્ડ પાસે છે.

મળતી માહિતી મુજબ વક્ફ બોર્ડ હેઠળ ગુજરાતના ૫ તળાવ છે જેને તેના દ્વારા મેનેજ થાય છે. આ ૫માંથી ૩ તળાવ અમદાવાદમાં જ્યારે ૨ તળાવ સુરતમાં આવેલા છે. ગુજરાતભરમાં થઈને બોર્ડ પાસે ૧૨,૩૯૫ રહેઠાણો છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં છે અને ત્યારબાદ સુરત, ભરૂચ અને કચ્છમાં છે. જ્યાં ક્રમશઃ ૬૪૫૧, ૩૩૭૩, ૮૫૧, ૪૨૪ રહેઠાણ છે. પ્લોટની વાત કરીએ તો વક્ફ બોર્ડ અધિકૃત રીતે ગુજરાતમાં ૨,૨૩૫ પ્લોટ ધરાવે છે. જેમાં સૌથી વધુ સુરતમાં ૭૦૦ પ્લોટ છે. ત્યારબાદ ૬૯૪ ભરૂચમાં અને વડોદરામાં ૨૯૩ પ્લોટ છે.

અમદાવાદમાં વક્ફ બોર્ડ પાસે સૌથી વધુ ૧૫,૪૨૫ સંપત્તિ નોંધાયેલી છે જેમાં ૬,૪૫૧ ઘર, ખેતીલાયક જમીન ૧૨૫, બિલ્ડિંગ ૪૯૯, મકબરા કે દરગાહ ૪૬૪, ૪ દારૂલ ઉલુમ, ઈદગાહ ૫, ૪૯ મદરેસા, ૮૦૮ મસ્જિદ, ૧૪૩ પ્લોટ, ૭ શાળા, ૪,૪૫૦ દુકાનો અને અન્ય ૨,૩૦૧ થઈને કુલ ૧૫,૪૨૫ સંપત્તિ છે. જ્યારે સુરતમાં જે ૮૪૫૩ સંપત્તિ છે તેમાં ૩૩૭૩ ઘર, ૩૫૪ મસ્જિદ, ૭૦૦ પ્લોટ, ખેતીલાયક જમીન ૭૧૪, બિલ્ડિંગ ૬૫, દરગાહ અને મકબરા ૧૭૯, કબ્રસ્તાન ૧૬૫, ૭૦૦ શાળાઓ સામેલ છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ બોર્ડની સંપત્તિ ભરૂચમાં છે.

વક્ફ બોર્ડ ભરૂચમાં ૪૧૬૩ સંપત્તિ ધરાવે છે જેમાં ૯૧૮ ખેતીલાયક જમીન, ૮૫૧ ઘર, મકબરા અને દરગાહ ૫૯, જ્યારે ૬૪ મદરેસા, ૮૭ કબ્રસ્તાન, ૨૧ બિલ્ડિંગ, એક દારૂલ ઉલુમ, ૬૯૪ પ્લોટ, ૭ શાળાઓ, ૨૧૧ દુકાન સહિત સંપત્તિ સામેલ છે. દેશભરમાં વક્ફ બોર્ડની જે સ્થાવર મિલ્કતો છે તેમાં ગુજરાત ૩૯૯૪૦ મિલ્કતો સાથે આઠમા ક્રમે છે. પ્રથમ ક્રમે ૨૩૨૫૪૭ સંપત્તિ સાથે યુપી છે. જ્યારે ૮૦૪૮૦ મિલકતો સાથે પશ્ચિમ બંગાળ બીજા નંબરે છે.

૭૫૯૬૫ મિલ્કતો સાથે પંજાબ ત્રીજા ક્રમે, ૬૬૦૯૨ મિલકતો સાથે તમિલનાડુ ચોથા ક્રમે, ત્યારબાદ ૬૨૮૩૦ મિલકતો સાથે કર્ણાટક આવે છે. ૫૩૨૭૯ મિલકતો સાથે કેરળ છઠ્ઠા ક્રમે, ૪૫૬૮૨ મિલકતો સાથે તેલંગણા સાતમે ક્રમે અને ગુજરાત ૩૯૯૪૦ મિલકતો સાથે આઠમા ક્રમે આવે છે. વક્ફ બોર્ડની જંગમ મિલ્કત જાેઈએ તો ગુજરાત દેશભરમાં બીજા નંબરે આવે છે. જેમાં સૌથી વધુ ૮૬૦૫ મિલ્કત તમિલનાડુમાં છે જ્યારે ૫૪૧૮ મિલ્કતો ગુજરાતમાં છે. ત્યારબાદ કર્ણાટકમાં ૧૮૦૧ મિલ્કત છે. સમગ્ર દેશમાં વક્ફ બોર્ડ કુલ ૧૬૭૧૨ જંગમ સંપત્તિ ધરાવે છે. વક્ફ એક અરબી શબ્દ છે જે વકુફાથી બનેલો છે અને તેનો અર્થ છે ‘થોભવું’.

ઈસ્લામમાં વક્ફનો અર્થ પોતાની કોઈ ચીજ લોકોની મદદ માટે આપી દેવું એમ થાય છે. આ એક પ્રકારનું દાન હોય છે. જે લોકો ઈસ્લામ ધર્મમાં માને છે જેમ કે કોઈ મુસલમાન પોતાની જમીન કે ઘર લોકોની ભલાઈ માટે આપી શકે છે. આ ચીજાે પછી વક્ફ બોર્ડ પાસે જતી રહે છે અને બોર્ડ આ ચીજાેથી આવનારા પૈસાથી ગરીબો કે જરૂરિયાતવાળાને મદદ કરે છે. ભારતમાં વક્ફ બોર્ડની રચના એક તબક્કાવાર પ્રક્રિયા રહી છે અને તેના માટે કોઈ એક નિશ્ચિત વર્ષ જણાવી શકાય નહીં. તે વિવિધ રાજ્યોમાં અલગ અલગ સમય પર થઈ હતી. ભારતમાં કેન્દ્રીય સ્તર પર વક્ફ પરિષદની રચના ૧૯૬૪માં થઈ હતી. જે અલ્પસંખ્યક મંત્રાલય હેઠળ કામ કરે છે.

વિવિધ રાજ્યોમાં વક્ફ બોર્ડોની રચના અલગ અલગ કાયદા અને સમય મુજબ થઈ છે. મોટાભાગના રાજ્યોમાં વક્ફ બોર્ડની રચના ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં થઈ હતી. વક્ફ બોર્ડની રચના ભારતમાં મુસ્લિમ સમુદાય માટે એક મહત્વપૂર્ણ પગલું હતું. વક્ફ બોર્ડ એક સરકારી સંસ્થા છે જે મુસ્લિમ સમુદાયના હિતોની રક્ષા કરે છે. વક્ફ બોર્ડની રચના મુસ્લિમ સમુદાય દ્વારા દાન કરાયેલી સંપત્તિને વ્યવસ્થિત રીતે મેનેજ કરવા માટે કરાઈ હતી. વક્ફ બોર્ડનો હેતુ વક્ફ સંપત્તિને અતિક્રમણ અને દુરઉપયોગથી બચાવવા માટે, વક્ફ સંપત્તિથી થનારી આવકને ધાર્મિક અને સામાજિક કાર્યોમાં લગાવવાનો છે. વક્ફ બોર્ડનું કામ વક્ફ સંપત્તિથી સંબંધિત વિવાદોની પતાવટનું છે. વક્ફ બોર્ડ સમયાંતરે વિવાદોમાં પણ રહે છે, ખાસ કરીને વક્ફ સંપત્તિ સંલગ્ન વિવાદો અંગે હંમેશા વિવાદ રહ્યો છે.

Related Posts