સિંહોના રક્ષણના મામલે ગુજરાત સરકારના દાવાની પોલ ખૂલી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૫૫૫ સિંહોના મોત નિપજ્યા છે. તેવુ લોકસભામાં ગુજરાત સરકારે જવાબ આપ્યો છે. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીના ગાળામાં દર વર્ષે ૧૦૦ જેટલા સિંહો મોતને ભેટે છે. પાંચ વર્ષ દરમિયાન સૌથી વધુ ૨૦૨૦ માં ૧૨૪ સિંહોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ, ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે, રાજ્યમાં ૨ વર્ષમાં ૨૯ સિંહના અકુદરતી મૃત્યુ થયા છે.
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં જવાબ અપાયો કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ ની સ્થિતિ સંદર્ભે બે વર્ષમાં ૧૧૩ સિંહ, ૧૨૬ બાળ સિંહ, ૨૯૪ દીપડા, ૧૧૦ દીપડાના બચ્ચાના મોત નિપજ્યા છે. જે પૈકી ૨૧ સિંહ, ૮ બાળ સિંહ, ૧૦૧ દીપડા અને ૩૧ દીપડાના બચ્ચાના અકુદરતી મોત નિપજ્યા છે. ૯૨ સિંહ, ૧૧૮ બાળ સિંહ, ૧૯૩ દીપડા, ૭૯ દીપડાના બચ્ચાના કુદરતી મોત નિપજ્યા છે. દીપડા અને સિંહના કુદરતી મોત અટકાવવા સરકારે પગલા લીધા હોય તેવું આ આંકડા પરથી જરા પણ નથી લાગતું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો વન પર્યાવરણ મંત્રી દ્વારા લેખિત જવાબ અપાયો છે.
મહત્વનું છે કે ગુજરાતમાં ૨૦૨૩માં કેટલા સિંહ અને દીપડાના મોત થયા છે અને આ પૈકી કેટલાંના મૃત્યુ કુદરતી-અકુદરતી રીતે થયેલા છે તેવા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા સવાલના જવાબમાં આ માહિતી સામે આવી છે. જે અનુસાર ૨૦૨૨માં ૫૫ સિંહ અને ૬૨ સિંહબાળના મોત થયા છે. જ્યારે ૨૦૨૩માં ૫૮ સિંહ અને ૬૪ બાળસિંહના મોત થયા છે.. એટલું જ નહીં ૧૩૨ જેટલાં દીપડાના પણ અકુદરતી મૃત્યુ થયા છે. તો ૨૯ જેટલાં સિંહના અકુદરતી મૃત્યુ થયા છે. ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી હોવાના ગુજરાતના દાવા વચ્ચે આ ચોંકાવનારો ખુલાસો થયો છે. સાથે જ વન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ, ટ્રેકર્સની નિમણૂક સહિતના દાવા પણ પોકળ સાબિત થયા છે.
Recent Comments