લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી ઉમેદવારો તેમની ઉમેદવારી નોંધાવી શકશે. ૪ એપ્રિલ ઉમેદવારી કરવાની અંતિમ તારીખ છે. ૨૬ એપ્રિલે ૧૨ રાજ્યની ૮૮ લોકસભા બેઠક માટે મતદાન થશે અને ૪ જૂને તમામ લોકસભા બેઠકનું પરિણામ આવશે. ત્યારે ગુજરાત કાૅંગ્રેસે હજીપણ ૭ લોકસભા ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. અમદાવાદ પૂર્વ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને નવસારી લોકસભા ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. કોંગ્રેસે ગુજરાતમાં ૧૭ ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે બે બેઠક આમ આદમી પાર્ટીને ગઠબંધનમાં આપી છે. પરંતું હજુ સુધી સૌરાષ્ટ્રની જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર બેઠક, ઉત્તર ગુજરાતની મહેસાણા અને અમદાવાદ પૂર્વ, જ્યારે મધ્ય ગુજરાતની વડોદરા અને દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક બાકી છે.
કોંગ્રેસ હજી ઉમેદવારોના નામ નક્કી કરી રહ્યું નથી. સેન્ટ્રલ ઈલેકશન કમિટીમાં નામો પર મહોરની શક્યતા હતી, પરંતું કોંગ્રેસ હજી સુધી નામ નક્કી કરવામાં સફળ નીવડ્યુ નથી. એક તરફ ઢગલાબંધ નેતાઓ ભાજપમાં ભળી ગયા છે, તો બીજી તરફ અનેક નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ચૂંટણી ખર્ચ પોસાય તેમ ન હોવાથી ઉમેદવારોએ પાછીપાની કરી છે. વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસને ઉમેદવાર નથી મળી રહ્યા. કોંગ્રેસમાથી ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી. કોંગ્રેસમાથી ચૂંટણી લડવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, નરેન્દ્ર રાવત, જશપાલસિંહ પઢિયારે ના પાડી છે. એક તરફ ઋત્વિજ જાેશી, ગુણવંત પરમાર, ભીખા રબારી જેવા કોંગ્રેસના નેતાઓ ટિકિટ માંગી રહ્યાં છે. પરંતું ઋત્વિજ જાેશી અને ગુણવંત પરમારની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ હતી. તેથી ભાજપ ઉમેદવારને ટક્કર આપી શકે તેવા ઉમેદવારને શોધવા કોંગ્રેસના હવાતિયા ચાલી રહ્યાં છે.
Recent Comments