રાષ્ટ્રીય

ચીન પર દલાઈ લામાના પ્રહાર કરતા કહ્યું “બૌદ્ધ ધર્મને નષ્ટ કરવાના પ્રયાસમાં ક્યારેય સફળ નહીં થાય”

દલાઈ લામાએ ચીનમાં બૌદ્ધ ધર્મ અને તેના અનુયાયીઓ પર વર્ષોના “દમન અને સતાવણી” પછી દેશમાં “બૌદ્ધ ધર્મમાં વધતા જુવાળ” પર ભાર મૂક્યો છે. દલાઈ લામા રવિવારે તથાગત બુદ્ધના જ્ઞાન સ્થાન બોધગયા ખાતે તેમના ભક્તોને સંબોધિત કરી રહ્યા હતા. ૮૭ વર્ષીય દલાઈ લામાના લાંબા આયુષ્યની મંગલકામના માટે પરંપરાગત બૌદ્ધ સભાનું આયોજન કર્યું હતું. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા દલાઈ લામાએ કહ્યું કે, “તિબેટની બૌદ્ધ પરંપરાએ પશ્ચિમમાં ઘણું ધ્યાન આકર્ષિત કર્યું છે. ભૂતકાળમાં, બૌદ્ધ ધર્મ એશિયન ધર્મ તરીકે જાણીતો હતો, પરંતુ આજે તેની ફિલસૂફી અને વિભાવનાઓ, ખાસ કરીને મનોવિજ્ઞાન સાથે સંબંધિત, સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. ઘણા વૈજ્ઞાનિકો આ પરંપરામાં રસ લઈ રહ્યા છે.

દલાઈ લામાએ કહ્યું કે, “તે માત્ર તિબેટ માટે જ નહીં… પણ ચીન માટે પણ મહત્વનું છે. આની સીધી અસર ચીન પર પણ પડી છે, કારણ કે ચીન એક બૌદ્ધ દેશ છે, પરંતુ ચીનમાં બૌદ્ધ ધર્મ અને બૌદ્ધો પર ઘણું દમન અને અત્યાચાર થયો છે.’ દલાઈ લામાએ કહ્યું કે, ‘તેથી, ચીન અને વિશ્વમાં ઘણું બધું પરિવર્તન થઈ શકે છે. સારા વિશ્વની શક્યતા અંગે હું હંમેશા આશાવાદી રહ્યો છું.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘બરફની ભૂમિ તરીકે પણ ઓળખાતું તિબેટ ઘણી દુર્ઘટનાઓમાંથી પસાર થયું છે. પરંતુ તેના પરોક્ષ સારા પરિણામો પણ બહાર આવ્યા છે. વિશ્વભરના લોકો હવે તિબેટીયન બૌદ્ધ પરંપરાથી વાકેફ થયા છે.

માઓત્સે તુંગની સામ્યવાદી ક્રાંતિના એક દાયકા પછી ૧૯૫૯માં દલાઈ લામાએ પોતાનું વતન છોડવું પડ્યું હતું. ભારતમાં આશ્રય મેળવ્યા પછી, તેઓ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં સ્થાયી થયા, જે મોટી સંખ્યામાં તિબેટીયન શરણાર્થીઓની હાજરીને કારણે ‘મિની તિબેટ’ તરીકે ઓળખાય છે. દલાઈ લામા બિહારના બોધ ગયાને ‘વજ્રસ્થાન’ માને છે. તેઓ કોવિડ-૧૯ રોગચાળાને કારણે બે વર્ષના અંતરાલ પછી પ્રવચન આપવા અહીં આવ્યા છે. તિબેટના આધ્યાત્મિક નેતાએ કહ્યું કે, ‘આ એક સંયોગ છે કે આ સમારોહ ગ્રેગોરિયન કેલેન્ડરના પ્રથમ દિવસે યોજવામાં આવી રહ્યો છે, જેમાં મારા લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી છે. આ એક રીતે સંકેત છે કે આપણે આગળના સારા સમય તરફ આગળ વધી રહ્યા છીએ.

Related Posts