ભાવનગર

જગદીશ ત્રિવેદીએ મંદબુદ્ધીનાં બાળકોની ત્રણ સંસ્થાને પચાસ લાખ રુપિયા પહોચાડ્યા

અમેરીકામાં બ્રાઈટર વિઝન ફાઊન્ડેશન નામની સેવાભાવી સંસ્થા બારડોલી પાસે ખરવાસા ગામમાં આવેલી મંદબુદ્ધીના બાળકોની  સંસ્થા માટે પરદેશની ધરતી પર રહીને ખૂબ સુંદર સેવા કરે છે. અમેરીકાના ટેક્ષાસ રાજ્યમાં રહેતા શ્રી ડાહ્યાભાઈ નાથુભાઈ પટેલ જેમણે ખરવાસાની આ સંસ્થાને જમીનનું દાન કરેલ છે અને અમેરીકા રહીને પણ આ સંસ્થાનું નિસ્વાર્થભાવે સંચાલન પણ કરી રહ્યા છે. 

જાણીતા હાસ્યકલાકાર ,લેખક, કવિ, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ પોતાના ત્રણ મહીનાના અમેરીકા અને કેનેડાના પ્રવાસ દરમ્યાન આ પ્રકારની મંદબુદ્ધીના બાળકોની સંસ્થા માટે બે મોટા કાર્યક્રમો કરેલ છે. ૨૭ જુલાઈના રોજ  ટેનેસી રાજ્યના નેશવીલ શહેરમાં જીસીએ દ્રારા આયોજીત કાર્યક્રમ અને ૧૫મી ઓગષ્ટના રોજ ટેક્ષાસ રાજ્યના ડલ્લાસ શહેરમાં બ્રાઈટર વિઝન ફાઊન્ડેશન દ્રારા આયોજીત એમ મંદબુદ્ધીના બાળકો માટે તદ્દન નિશૂલ્ક બે કાર્યક્રમો કરીને અનુક્રમે ૨૬ લાખ અને ૨૪ લાખ મળીને કુલ પચાસ લાખ જેવી માતબર રકમ એકત્ર કરી આપી હતી.


જગદીશ ત્રિવેદીએ આ બન્ને કાર્યક્રમોમાં પોતાના  પુરસ્કારનું સૌપ્રથમ દાન કરીને લોકોને ગુજરાતમાં રહેલા મંદબુદ્ધીના બાળકો માટે દાન કરવા અપીલ કરી હતી.  આ પચાસ લાખમાંથી બારડોલી પાસે ખરવાસા ગામમાં આવેલી મંદબદ્ધીના બાળકોની સંસ્થાને અડતાલીસ લાખ રુપિયા તેમજ ભાવનગરની અંકુર મંદબુ્દ્ધીના બાળકોની સંસ્થાને એક લાખ રુપિયા અને વઢવાણની જીવનસ્મૃતિ મંદબુદ્ધીના બાળકોની સંસ્થાને એક લાખ રુપિયા મળીને ગુજરાત રાજ્યની મંદબુદ્ધીના બાળકોની ત્રણ શાળાને કુલ પચાસ લાખ રુપિયાનું દાન પહોંચતું કરેલ છે.અમેરીકાથી અત્યાર સુધીમાં ગુજરાતની વિવિધ હોસ્પિટલ અને આ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓને આશરે દોઢ કરોડથી વધું રકમ જગદીશ ત્રિવેદીએ પહોંચતી કરેલ છે. તેઓ ત્રણ મહીનાના રોકાણ દરમ્યાન કુલ ૪૧ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન કરી સપ્ટેમ્બરના પહેલા અઠવાડીયામાં ભારત પધારશે. 

Related Posts