અમરેલી

જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અમરેલી જિલ્લાની મુલાકાતે

રાજ્ય સરકારના જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જળસંપતિ અને પાણી  પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સાવરકુંડલાના હાથસણી મુકામે શેલ દેદુમલ ડેમ સાઈટ નજીક અંદાજે રુ.૭૮ લાખથી વધુના ખર્ચે બનેલા અને નવનિર્મિત કોઝ-વેનું લોકાર્પણ કર્યું હતુ.  મંત્રી શ્રીએ શેલ દેદુમલ ડેમ સાઈટની મુલાકાત લીધી હતી. શેલ દેદુમલ ડેમ સાઈટ નજીકમાં કાચો રસ્તો હતો, કોઝ-વે ન હોવાથી આસપાસના ગામોને અવર-જવરમાં અનેક તકલીફોનો સામનો કરવો પડતો હતો. હવે ૪૫ મીટર લંબાઈનો નવનિર્મિત કોઝ-વે બનતા ગ્રામજનોની રસ્તા બાબતની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે.

નવનિર્મિત કોઝ-વે લોકાર્પણ પ્રસંગે જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યુ કે, સાવરકુંડલા અને ખાંભા વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્નો, સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે આ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યુ કે, સિંચાઈના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય અને સમસ્યાઓનો અંત આવે સાથે ખેડૂતોને ફાયદો થાય તેવી રાજ્ય સરકારની નેમ છે.       મંત્રી શ્રીએ હાથસણી રોડ પર સાવરકુંડલા પાણી પુરવઠા ઓગમેન્ટેશન યોજના અંતર્ગત જે કામો પ્રગતિમાં છે તે વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતુ. ગુણવત્તાયુક્ત કામગીરી  થાય તે માટે મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને વિશેષ સૂચનાઓ આપી હતી. ઓગમેન્ટેશન ઓફ સાવરકુંડલા ગૃપ પાણી પુરવઠા યોજના અન્વયે સાવરકુંડલા શહેર સહિત તાલુકાના ૭૬ ગામને આવરી લેવામાં આવ્યા છે. સરકારના જલ જીવન મિશન અંતર્ગત ૧૦૦ ટકા ઘરમાં ટેપ વોટર પહોંચાડવાનું લક્ષ્યાંક છે.

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાથે ધારી બગસરા અને ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાએ નાવલી નદી, નાની સિંચાઈ યોજના અને મોટી સિંચાઈ યોજનાના કામોની મુલાકાત લીધી હતી.વિવિધ યોજનાકીય કામગીરી મુલાકાત દરમિયાન પદાધિકારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ, સરપંચશ્રી, ભાવનગર સિંચાઈ વર્તુળ અધિક્ષક ઈજનેર શ્રી સુનિલકુમાર ગુપ્તા, અમરેલી જળ સિંચન કાર્યપાલક ઇજનેર શ્રી એચ.સી.વાજા સહિતના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts