સૌરાષ્ટ - કચ્છ

જામનગરના કસ્ટમ વિભાગમાંથી ૧ કરોડનું સોનું થયું ગાયબ

જામનગરના કસ્ટમ વિભાગમાંથી અધધ કહી શકાય તેવા એક કરોડના સોનાની ચોરી થઈ છે. કસ્ટમ વિભાગના કોઈ કર્મચારીએ રૂ.૧.૧૦ કરોડનું સોનું ચોરી ગયાની ઘટના બની છે. કચ્છ કસ્ટમ દ્વારા ભૂકંપ સમયે જામનગર કસ્ટમમાં આ સોનુ જમા કરાવ્યું હતું. ત્યારે આ સોનું પાછું સોંપતી વેળાએ ૨ કિલો જેટલું સોનુ ઓછું મળ્યું હતું. ત્યારે આ ચકચારી ઘટનાથી કસ્ટમ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સિટી-બી ડિવિઝનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર કસ્ટમ વિભાગ હસ્તકના સોનામાંથી રૂપિયા એક કરોડની કિંમતના ૨૧૫૬.૭૨ ગ્રામ સોનાની ચોરી થઈ છે. જામનગર કસ્ટમ વિભાગના અધિકારીએ બે કિલો સોનાની ચોરી કોઈ અંદરના જ માણસે કરી હોવાનું કહેવાય છે. ૧૯૮૨ અને ૧૯૮૬ના વર્ષમાં કચ્છ કસ્ટમ વિભાગે દરોડા પાડ્યા હતા. દાણચોરીથી ભારતમાં લાવવામાં આવી રહેલો સોનાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો વર્ષ ૨૦૦૧ સુધી ભૂજના કસ્ટમ વિભાગમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. પરંતુ વિનાશક ભૂકંપ બાદ કસ્ટમ વિભાગની ભૂજની કચેરીને ભારે નુકસાન થયું હતું. તેથી વિભાગમાંથી સોનુ ખસેડીને જામનગર કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યું હતું. ૨૦૧૬ના વર્ષમાં કચ્છ કસ્ટમ વિભાગને વિધિવત રીતે સોનુ સોંપાયું હતું.
અત્યાર સુધી આ સોનુ કસ્ટમ વિભાગમાં સુરક્ષિત હતું. પરંતુ હાલ સોનાના જથ્થાની ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ૨૧૫૬.૭૨ ગ્રામ સોનાની ઘટ મળી આવી હતી. આ સોનાની માર્કેટ કિંમત ૧ કરોડ ૧૦ લાખ રૂપિયા થાય છે. ત્યારે સરકારી વિભાગમાંથી સોનુ ગાયબ થતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે ફરિયાદ દાખલ કરવામા આવી છે કે, અંદરના જ કોઈ કર્મચારીએ આવુ કર્યું હોઈ શકે છે.

Related Posts