જામનગરમાં ખોડિયાર કોલોનીની ન્યુ આરામ કોલોનીમાં બંધ મકાનમાં ખાતર પાડ્યું છે. આ બનાવની સીટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વાડીનાર ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડીયામાં ઓફિસર તરીકે ફરજ બજાવતા અને ન્યુ આરામ કોલોનીમાં બી-૪માં દિશાંત નામના મકાનમાં રહેતા અંકુશભાઈ પ્રદીપભાઈ પહાડેના તા.૧૧-૧૨-૨૦૨૧ થી તા.૧૪-૧૨-૨૦૨૧ સવાર સુધી બંધ રહેલ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ રહેણાંક મકાનના દરવાજાનો નકુચો અને તાળા તોડી અંદર પ્રવેશી ઘરના બેડ રૂમમાં આવેલ લાકડાના કબાટ પર નજર જમાવી હતી. કબાટમાંથી રૂા.૨૦,૦૦૦ના ૧ તોલાના બે નંગ સોનાના ચેન, રૂા.૧૦ હજારની ૫ નંગ વીંટી, રૂા.૪૦ હજારના સોનાના મંગળસુત્ર, રૂા.૪૦ હજારના સોનાના પાટલા, રૂા.૧૦ હજારના કાનમાં પહેરવાના બે ઝુમખા, રૂા.૧૦ હજારના સોનાની અંગુઠી, રૂા.૨૦ હજારની માળા. ઉપરાંત રૂા.૪ હજારની ઝાંઝરી, રૂા.૨ હજારની કડલીઓ અને રૂા.૩૫ હજારની રોકડ સહિત રૂા.૧,૯૧,૦૦૦ના દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી કરી હતી. નાગપુરમાં રહેતા સાળાનું અવસાન થતા બેંક ઓફિસર તેના પત્ની અને માતા-પિતા તથા બાળકો સાથે નાગપુર ગયા હતા. મકાનને તાળા મારી પોતાની મિત્રને ચાવી આપી નાગપુર ગયા બાદ પાછળથી બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. તેનો મિત્ર ઝાડને પાણી પાવા માટે ગયો હતો ત્યારે તાળા તૂટેલા નજરે પડતા તેઓએ નાગપુર ગયેલા મિત્રને ફોન કરી જાણ કરી હતી. જેને લઈને બેંક ઓફિસર પરત આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પીએસઆઈ એસ.એમ. સીસોદિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે
જામનગરમાં બેંક ઓફિસરના ઘરેથી દાગીના-રોકડની ચોરી

Recent Comments