અમરેલી

જિલ્લાના ૬ તાલીમાર્થીઓએ ભારતીય સૈન્યમાં પસંદગી પામી જિલ્લાનું ગૌરવ વધાર્યુ

રાજ્યના યુવાનો સંરક્ષણ દળમાં ભરતી થાય તે માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત ‘સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગ’માંથી તાલીમ મેળવનાર અમરેલીના પાંચ તાલીમાર્થીઓની ભારતીય સૈન્યમાં અગ્નીવીર તરીકે પસંદગી પામ્યા છે.

        અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આ નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન ગત તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૩ થી તા.૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી અમરેલીના લાઠી રોડ સ્થિત શ્રી જગજીવનદાસ મહેતા ટ્રસ્ટ સંચાલિત ભગિની છાત્રાલય ખાતે યોજવામાં આવ્યો હતો. આ તાલીમ વર્ગમાં આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો, પેરામીલીટરી ફોર્સીસ, પોલીસ વગેરેની ભરતીને ધ્યાનમાં રાખી ૩૦ દિવસીય તાલીમમાં તજજ્ઞ શિક્ષકોના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ દરરોજ ર કલાક શારીરિક તાલીમ અને દરરોજ ૬ કલાક બૌધ્ધિક તાલીમ આપવામાં આવી હતી.

આ વર્ગમાં તાલીમાર્થીઓને રહેવા અને જમવા સહિતની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી છે. આ તાલીમ પામેલા ૫(પાંચ) ઉમેદવારો ભારતીય સૈન્યમાં અગ્નીવીર જનરલ ડયુટી અને ૧(એક) ઉમેદવાર અગ્નીવીર ટ્રેડસમેનમાં સફળ થયા છે. આમ, કુલ ૬(છ) તાલીમાર્થીઓ ભારતીય સૈન્યમાં સફળતાપૂર્વક પાસ થયા છે. સફળતા પામેલા ઉમેદવારોમાં શ્રી ઉત્તમભાઈ જાદવ, શ્રી દીપકભાઈ કામળીયા,  શ્રી જયેશભાઈ કુકાવા, શ્રી મિતુલભાઈ ગોસ્વામી, શ્રી ગૌતમભાઈ કલડીયા, શ્રી દિલીપભાઈ બુધેલાનો સમાવેશ થાય છે, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts