દેશની વિકાસ પ્રક્રિયામાં શિક્ષા ક્ષેત્રનો ખૂબ મોટો અને મહત્વનો ફાળો છે. કન્યા કેળવણી થકી શ્રેષ્ઠ સમાજની સાથે શ્રેષ્ઠ વિકસિત રાષ્ટ્રના નિર્માણનું સોનેરી સ્વપ્ન સાકાર થાય છે. કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ૨૧મા તબક્કાના બીજા દિવસે મનોરમ્ય વાતાવરણમાં અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ અકાળા પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ ૧ના ભૂલકાંઓને ઉત્સાહભેર પ્રવેશ કરાવ્યો હતો.
આંગણવાડીમાં ૪ કન્યા અને ધોરણ ૧માં કુમાર-કન્યા સહિત ૪ ભૂલકાંઓએ હર્ષભેર પા પા પગલી માંડી, ધોરણ ૯માં ૧૧ કન્યા, ૧૧ કુમાર સહિત ૨૨ બાળકોએ શાળા પ્રવેશ કર્યો હતો. અમરેલી જિલ્લા કલેકટર શ્રી દહિયાના હસ્તે પ્રવેશપાત્ર સૌ ભૂલકાંઓને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શાળામાં વિવિધ પ્રકારે પોતાનું “ફુલ નહિ તો ફુલની પાંખડી” સ્વરુપ યોગદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાનાં પટાંગણમાં સરપંચ શ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
અકાળા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જણાવ્યુ કે, ભારત દેશ વિકાસપથ પર આગળ ધપી રહ્યો છે ત્યારે શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે કન્યા કેળવણી કેન્દ્ર સ્થાને છે, દીકરીઓ શાળાકીય શિક્ષણ અધવચ્ચે ન છોડે તે માટે સૌએ સહિયારા પ્રયત્ન કરવા જરુરી છે.
વધુમાં જણાવ્યુ કે, બાળકોએ શૈક્ષણિક અભ્યાસની સાથે સાંસ્કૃતિક, રમત ગમત સહિતની ઇત્તર પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ. સરકારની વિવિધ શૈક્ષણિક પ્રોત્સાહન યોજનાઓના માધ્યમથી વિદ્યાર્થીઓને મદદ મળી રહી છે. વિજ્ઞાનનું વિશ્વ વિસ્તરી રહ્યું છે ત્યારે વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના વિષયોમાં બાળકોનો રસ વધે તે આવશ્યક છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઇ છે. ગુજરાતમાં છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન બાળકોના નામાંકનનો દર ૧૦૦ ટકાની નજીક પહોંચ્યો છે.
અકાળા પ્રા.શાળા ખાતે કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી, ગ્રામ પંચાયત સભ્ય શ્રીઓ, શાળાના આચાર્ય શ્રી, શિક્ષકશ્રીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments