ગુજરાત

જો આઝાદી બાદ બાપુએ સૂચવેલા સિદ્ધાંતો અને આદર્શો પર દેશ આગળ વધ્યો હોત તો અનેક સમસ્યાઓનું સર્જન જ ન થયું હોત. – અમિતભાઇ શાહ

ગાંધીનગર લોકસભા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ૧૨ માર્ચના રોજ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ઐતિહાસિક દાંડી માર્ચની ૯૨મી વર્ષગાંઠના ઉપલક્ષમાં યોજાયેલ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પ્રજાવત્સલ સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ સત્યાગ્રહ આશ્રમ કોચરબ આશ્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

     શ્રી અમિતભાઇ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે પૂજ્ય બાપુને મોહનમાંથી મહાત્મા બનાવનારની પુણ્ય ભૂમિ આ કોચરબ આશ્રમ છે 25મી મે, ૧૯૧૫થી આશ્રમથી આઝાદીની લડાઈના પગરણ મંડાયા અને બાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના પણ થઇ. આ આશ્રમની ધરતી પરથી જ આઝાદીની લડાઇ તેનો વિચાર યોજના કાર્યરત થયા. શ્રી શાહે આ નાના પણ મહત્વના કાર્યક્રમના માધ્યમથી પૂજ્ય મહાત્મા ગાંધીજીની આ તપોભૂમિ પર આવીને હર્ષ અને રોમાંચની પ્રતીતિ થયાની લાગણી વ્યક્ત કરી હતી.

     શ્રી શાહે કહ્યું કે દાંડીયાત્રા એ સમગ્ર વિશ્વના આંદોલનોમાં પોતાનું આગવું સ્થાન નિશ્ચિત કર્યું છે. જ્યારે ભૂતકાળમાં આ દાંડીયાત્રા યોજાઇ ત્યારે દૂર સંચારના કોઈપણ માધ્યમો ન હોવા છતાં પૂ. બાપુની કર્તુત્વની પ્રચંડ શક્તિ અને સાધનાના બળના પરિણામે તેમણે આપેલ સંદેશ કાશ્મીરથી કન્યાકુમારી અને બિહારથી ગુજરાત સુધી પહોંચ્યો અને સમગ્ર દેશમાં એકનિષ્ઠ ચેતના જગાવી.

     શ્રી શાહે જણાવ્યું હતું કે એ પૂ. બાપુએ સત્કાર્યો, સત્ય, અહિંસાના માર્ગથી સર્જિત કરેલ તપોબળ જ હતું કે જેના લીધે દાંડીયાત્રા દરમ્યાન ગાંધીજીને કેદ કરવામાં અંગ્રેજો વિમાસણ અનુભવતા હતા. પૂ. બાપુના સિદ્ધાંતોના આજના સમાજજીવનની સમસ્યાઓનો ઉકેલમાં એટલા જ પ્રસ્તુત છે. જો આઝાદી બાદ બાપુએ સૂચવેલા સિદ્ધાંતો અને આદર્શો પર દેશ આગળ વધ્યો હોત તો અનેક સમસ્યાઓનું સર્જન જ ન થયું હોત.

     શ્રી શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાંપ્રત પ્રવાહો સાથે પૂ.બાપુએ સૂચવેલ સ્વભાષા, રાજભાષા, સ્વાવલંબન – રોજગારીનું સર્જન જેવા વિચારોને નવી શિક્ષણ નીતિમાં સમાહિત કર્યા. આ નવી શિક્ષણ નીતિ આપણી ભવિષ્યની પેઢીના શૈક્ષણિક, સામાજિક, ચારિત્ર્ય ઘડતરની સાથે સાથે ભારતીય મૂલ્યોના સિંચનમાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

     શ્રી શાહે દાંડીયાત્રાના મહત્વ પર ભાર આપતા જણાવ્યું હતું કે આ યાત્રા માત્ર જનજાગૃતિની યાત્રા ન હતી પરંતુ આ યાત્રા દરમ્યાન માર્ગમાં આવતા તમામ ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓ અને દુષણો અંગેની માહિતી મેળવીને દાંડીયાત્રા બાદ આ સમસ્યાઓનું નિવારણ પણ કરવામાં આવ્યું હતું. આમ ગ્રામીણ સમસ્યાઓને આત્મસાત કરી તેના નિદાનાત્મક ઉપચારનો ભાવ આ યાત્રામાં સમાયેલ છે. એ સમસ્યાઓના નિવારણનો ઉલ્લેખ દાંડીયાત્રા બાદના પૂ. બાપુના ભાષણોમાં પણ જોવા મળે છે.

     શ્રી શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી સ્વચ્છતા, વીજળી, પ્રત્યેક ઘર શૌચાલય, ગ્રામીણ ઉત્થાનના પ્રકલ્પો, પેયજળની ઉપલબ્ધતા, અને ગામડાઓ ન તૂટે તે માટેની તમામ વ્યવસ્થાઓ, ગામડાઓ આત્મનિર્ભર બને તે દિશામાં ગામોત્થાન, ગ્રામ સંવર્ધન અને ગ્રામ સંરક્ષણની અનેક યોજનાઓ બનાવવામાં અને કાર્યરત કરવામાં આવી છે.

     શ્રી શાહે કહ્યું કે પૂ.બાપુએ જ્યારે પોતાના ૭૮ સાથીઓ સાથે દાંડીયાત્રાની શરૂઆત કરી ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે આ યાત્રા ઇતિહાસ સર્જશે. આ યાત્રાના માર્ગ પર જ્યાં પણ રાત્રિનિવાસ કરવામાં આવે ત્યાં સમસ્યાઓનું નિદાન, ગાંધી વિચાર અને મૂલ્યોનો પ્રચાર- પ્રસાર,  ગ્રામીણ કારીગરો સાથે સંવાદ સાધવા શ્રી શાહે આગ્રહભરી અપીલ કરી હતી. આ અભિગમ આપણે આદરેલા આત્મનિર્ભર ગામડાઓથી આત્મનિર્ભર ભારત ના હેતુને બળ પૂરું પાડશે.

     શ્રી શાહે જણાવ્યું હતું કે નમક સત્યાગ્રહે સમગ્ર દેશમાં ચેતના જગાવી, પૂ. બાપુના વિચારો અને સિદ્ધાંતો આજે અને આજથી ૨૦૦ વર્ષ પછી પણ શાશ્વત રહેશે. આ વિચારો પરિસ્થિતિજન્ય નહિ પણ માનવ સ્વભાવને માનવ તરીકે ઉપર લઈ જવાના, જેના પરિણામે તે ક્યારેય કાલ બાહ્ય ન બને. સમય અને યુગ અનુસાર આ વિચારોનું સ્વરૂપ બદલાય શકે પરંતુ ગાંધીવિચારનું તત્વ અકબંધ જ રહેશે.  સમાજ જીવનમાં શિસ્ત કેળવવામાં, ભાતૃભાવ જાગૃત કરવામાં, દેશપ્રેમ ઉજાગર કરવામાં અને સત્વશિલ લોકોનું સંગઠન બનાવવાનો પ્રયાસ આ વિચારોમાં કરવામાં આવ્યો.

     શ્રી શાહે વિશ્વની અનેક ક્રાંતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વિશ્વની અન્ય તમામ ક્રાંતિઓ શસ્ત્ર સાથેની અને લોહિયાળ માત્ર ગાંધીજી દ્વારા દેશમાં લડાયેલી આઝાદીની આ લડાઇ અહિંસક અને શસ્ત્ર વિનાની જેણે સમગ્ર વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ અપાવી. સત્યાગ્રહના પ્રયોગ, વિચાર અને સિદ્ધાંત આપણી સનાતન સંસ્કૃતિના અભિન્ન અંગ આ સિદ્ધાંતોને ગાંધીજીએ આઝાદીની લડાઇમાં મુખ્ય હથિયાર બનાવ્યું અને પુનઃ પ્રતિપાદિત કર્યા.

     શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ આઝાદીના અમૃત મહોત્સવની ત્રણ દ્રષ્ટિથી ઉજવણી કરવાનું નક્કી કર્યું, જેમાં આઝાદીની લડાઈના નામી – અનામી લડવૈયાના નામ, કાર્ય અને તેમના બલિદાનનેનો પરિચય નવી પેઢીને મળે, દેશ ચેતના જાગૃત થાય, ભારતના ૭૫ વર્ષની યશસ્વી યાત્રાની સિદ્ધિઓ અંગે એક વિશ્વાસ જનમાનસમાં ઉભો કરવો, આગામી ૨૫ વર્ષ એટલે કે દેશની આઝાદી બાદની ૧૦૦ વર્ષની યાત્રા દરમ્યાન એક સંકલ્પ લેવો અને આવા ૧૩૦ કરોડ સંકલ્પના સંપુટ થકી આપણા સનાતન મૂલ્યોની સાથે સમગ્ર વિશ્વ જોઈ રહે તે પ્રકારે વિકાસની હારમાળા સર્જવાની નેમ આઝાદીના અમૃત મહોત્સવમાં રાખવામાં આવી છે.

     અંતમાં શ્રી શાહે દાંડી સાયકલ યાત્રાના માધ્યમથી ગાંધી ચેતના જગાવવાના સ્તુત્ય પ્રયાસ માટે અભિનંદન અને આ યાત્રામાં સામેલ તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

     આ કાર્યક્રમમાં તેમની સાથે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, ગુજરાત વિદ્યાપીઠના કુલનાયકશ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી અને કુલસચિવ શ્રી નિખિલભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts