તા. 22 જુલાઈથી હિમાલયના કેદારનાથધામ ખાતેથી શરૂ થયેલી રેલ્વે દ્વારા યોજાયેલી બાર જ્યોતિર્લિંગ અને ચારધામની પુ.મોરારિબાપુના વ્યાસાસનની રામકથા 17 દિવસ બાદ સોમનાથ ખાતે 7 ઓગસ્ટના રોજ વિરામ પામી હતી. પરંતુ તેનો અંતિમ પડાવ પુ. મોરારિબાપુના વતન તલગાજરડા ખાતે હતો.
આ રામકથાના પૂર્ણાહુતી પ્રસંગે આજે તારીખ 8 ના રોજ ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં સ્વાગત કરતાં કૈલાશ ગુરુકુળના સંચાલક શ્રી જયદેવભાઈ માકડે જણાવું કે સાંપ્રત વિકટ સમયમાં પુ. મોરારિબાપુ દ્વારા વિવિધ પ્રકલ્પોથી સૌને કરુણા અને શાતા પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યોં છે. તેના ભાગરૂપે 12 જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગની માનસ નવસો કથાનું આયોજન થયું તથા સુખરૂપ રીતે સંપન્ન થયું છે.સૌને પુ.બાપુ વતી આવકાર્યા હતાં.
પુ.મોરારિબાપુ એ સંબોધન કરતાં કહ્યું કે માત્ર હેત માટે કોઈપણ હેતુ વગરનો આ મહાકાલેશ્વર એવા મહાદેવનો મનોરથ હતો. અને તે સુખરૂપ રીતે સંપન્ન થયો છે. હિમાલયમાંથી જે રીતે ગંગા નીકળે તે રીતે આ યાત્રાનો ત્યાંથી આરંભ થયો હતો. અને સોમનાથ ખાતે તેને વિરામ આપવામાં આવ્યો. આ કથા દ્વારા ન માત્ર 1008 યાત્રિકો જોડાયાં પરંતુ વાસ્તવમાં ભારતના 140 કરોડ લોકો આ કથામાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે જોડાઈ ગયાં હતાં. તલગાજરડું જોકે હવે માત્ર ભારત પૂરતું સીમિત નથી.પરંતુ તેને હવે આ આખું જગત વિશ્વવાટીકા છે. રાષ્ટ્રપ્રેમ આખા વિશ્વ તરફ દોરી જાય છે અને તેથી આ એક ત્રિભુવનીય યાત્રા હતી.તે એક હરતો ફરતો પ્રેમયજ્ઞ હતો. જેમાં અનેક લોકોએ તેને સફળ બનાવવા માટે આહુતિ આપી છે. 17 દિવસની આ યાત્રામાં લગભગ તમામ ઋતુનો અનુભવ યાત્રિકો કરી શક્યા અને છતાં પણ તેઓ સ્વસ્થ રીતે યાત્રામાં આગળ વધતાં રહ્યાં.આ યાત્રામાં જોડાયેલાં લોકો કોઈ ફરવા નહોતા આવ્યાં.પરંતુ મનના વિચારોને ફેરવવા માટે આવ્યાં હતાં. આ યાત્રાએ પ્રવાસ માટે નહીં પરંતુ પ્રેરણા માટે હતી. શોર્ય,સૌંદર્ય અને ઓદાર્ય સૌ મા પ્રગટ થાય તે એક અપેક્ષિત મનોકામના હતી. રામકથા આપણામાં રહેલા દુર્ગુણોને દૂર કરવા માટે માધ્યમ બને છે.
એક પ્રશ્નના જવાબમાં બાપુએ સાધુને સ્મરણશીલ અને સેવાશીલ ગણાવ્યાં હતાં અને એમ પણ કહ્યું કે હું કોઈ લક્ષ્ય વગર હંમેશા આગળ વધતો રહું છું. તેથી કથાનો કોઈ અંતિમ છેડો એ મારું લક્ષ્ય નથી.
Recent Comments