ઠાસરા પંથકના સૈયાત ગામે સરપંચની ચૂંટણીની અદાવત રાખી ગામના સરપંચ સહિત ૫ લોકોએ ૩ વ્યક્તિઓ પર હુમલો કર્યો છે. ગામમાં રામદેવપીર મંદિર હવન બાબતે પુછપરછ કરવા જતાં હુમલાખોરોએ પાઈપ ફટકારતા ૩ લોકો ઘાયલ થયા છે. જે પૈકી એકને માથું ફોડતા ટાંકા આવ્યા છે. આ સમગ્ર બનાવ મામલે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઠાસરા તાલુકાના સૈયાત ગામે નવાપુરા વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય નટુ રધાભાઈ ચાવડાના ભાઈ પ્રતાપ તથા તેમના કૌટુંબિક ભત્રીજાે જયદીપસિંહ ગામની દૂધની ડેરી સામે આવેલા રામદેવપીરના મંદિરના પૂજારીને હવન બાબતે પૂછપરછ કરવા ગયાં હતા. હવનમાં ગાયના દૂધની જરૂરિયાત હોવાના કારણે ગામના ભરવાડને દૂધ બાબતે પૂછપરછ કરતા હતા.
આ વખતે અગાઉની સરપંચની ચૂંટણીની અદાવત રાખી ગામમાં રહેતા નરેશ જયંતીભાઈ ચાવડા તથા ગામના સરપંચ ગુણવંત કીર્તનભાઈ ચાવડાએ અહીંયા ધસી આવી જયદીપસિંહની ફેટ પકડી માર મારવા લાગ્યા હતા. આ બંનેનું ઉપરાણું લઈ વિજય રાજેન્દ્રભાઈ ચાવડા તથા કીર્તનભાઈ શંકરભાઈ ચાવડા અહીં આવ્યા અને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. આક્રોશમાં આવેલા કીર્તનએ લોખંડની પાઇપ લઈ આવી નટુભાઈના દિકરા જીતેન્દ્રને માથાના ભાગે મારી દીધી હતી. જેના કારણે નટુભાઈ પોતાના દીકરાને છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ બરડાના ભાગે હુમલાખોરોએ પાઇપ મારી દીધી હતી. આ ઉપરાંત તમામ વ્યક્તિઓએ ગડદાપાટુનો માર મારેલો હતો અને હવે ફરીથી ચૂંટણીની અદાવત રાખી કોઈપણ પ્રકારનો ઝઘડો કરશો તો તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી.
ત્યારબાદ નટુભાઈના કાકા પ્રતાપ ભાવાભાઈ ચાવડાએ ઉપરોક્ત હુમલો કરનારને ઠપકો આપવા જતા ગામની ભાગોળે મહેશ રાયભણભાઈ ચાવડાએ તેઓને રોકી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘવાયેલા વ્યક્તિઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ ડાકોર સીએચસીમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી એકને માથાંના ભાગે ગંભીર ઈજા થતાં ટાંકા લેવા પડ્યાં છે. આ બનાવ સંદર્ભે નટુ રધાભાઈ ચાવડાએ ઉપરોક્ત સરપંચ સહિત ૫ લોકો સામે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Recent Comments