“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો “વિકાસરથ” બગસરાના ડેરી પીપરીયા મુકામે પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનોએ “વિકાસરથ”નું ભવ્ય સ્વાગત કરી રથને આવકાર્યો હતો. ડેરી પીપરીયા મુકામે લાઠી જિલ્લા આંકડા અધિકારી ડી.એસ.વસાવાની અધ્યક્ષતામાં “૨૦ વર્ષ વિશ્વાસના, ૨૦ વર્ષ વિકાસના” અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્યભરમાં થયેલા વિકાસકાર્યો વિશેની વિગતો દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય ચકાસણી કેમ્પ અને વેક્સીનેશન કેમ્પમાં ગ્રામજનોને વેક્સીનનાં ડોઝ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ આંકડા અધિકારીશ્રી ડી.એસ. વસાવાએ સરકારની કલ્યાણકારી યોજનાઓ અને તેના દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં આવેલા પરિવર્તન અંગે માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ થકી જિલ્લાના છેવાડાના વિસ્તાર સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃત્તિ પ્રસરાઈ રહી છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જાટે સરકારની આરોગ્ય ક્ષેત્રની કામગીરી વિશે માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય પીએમજેએવાય યોજના અને આયુષ્યમાન કાર્ડ વિશે માહિતી હતી. તેમણે કહ્યુ કે, વાર્ષિક રૂ.૪ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો આ કાર્ડનો લાભ મેળવી અને આકસ્મિક આરોગ્ય ખર્ચને પહોંચી વળે છે. સરકાર આ કાર્ડ ધારકોને નિ:શુલ્ક સારવાર સહિતનાં અનેક લાભ આપે છે. આ ઉપરાંત તેઓશ્રીએ નિરામય ગુજરાત અભિયાન અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી.
“વંદે ગુજરાત વિકાસ યાત્રા” અન્વયે ડેરી પીપરીયા ગામે ૧૫માં નાણાપંચ તળે કુલ રૂ.૧૧,૫૫,૨૧૬થી વધુના પૂર્ણ થયેલ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે અંદાજિત રુ.૬ લાખ રૂપિયાના કામોની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે ખારી ગામ અને ડેરી પીપરીયાના દોઢ-દોઢ લાખના કામોનું ખાતમહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બગસરાના મામલતદારશ્રી વી.એસ.જીડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ.પી.બોદર, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી બલદાણીયા, પી.જી.વી.સી.એલના શ્રી મહિડા, સરપંચશ્રી પ્રદિપભાઈ ભાખર, તેમજ ગ્રામ અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments