22 જાન્યુઆરી એટલે ભારતવર્ષમાં ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં 500 વર્ષ પછી ફરી એક વખત ભગવાન રામલલ્લાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. સમગ્ર દેશમાં આનંદનું વાતાવરણ તથા ભગવાન રામના મંદિરની ખુશી છે ત્યારે ગણેશ શાળા – ટીમાણામાં ભગવાન રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં ગામમાં ભગવાન રામના જય ઘોષ સાથે જુદા-જુદા સાત ટ્રેકટરમાં સીતા સ્વયંવર, ભગવાન રામનું વન ગમન, શબરી મિલન, હનુમાન મિલન, માતા સીતાજીનું અશોક વાટિકામાં હનુમાન મિલન તથા ભગવાન રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ દર્શાવતા દૃશ્યો સાથે 1 કિલોમીટર લાંબી મહારેલી શાળાના 2500 બાળકો સાથે નીકળી હતી.
આ મહારેલીથી ગામનું વાતાવરણ પણ રામમય બની ગયું હતું. ત્યાર પછી શાળાના મેદાનમાં ભગવાન રામલલ્લાની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બધા જ બાળકો તથા શિક્ષક ભાઇઓ તથા બહેનો આનંદ સાથે જોડાયા હતા. આ સાથે જ ભગવાન રામના “મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે”, “રામ સિયા રામ”, “સજા દો ઘર”, “યુગ રામ રાજ કા આ ગયા” તથા “રઘુપતિ રાઘવ રાજારામ” જેવા ગીતોની રમઝટ શાળાના બાળ કલાકારો દ્વારા કરવામાં આવી હતી. આ ઉત્સવમાં શાળાના બાળકો તથા શિક્ષકશ્રીઓ દ્વારા દોરાયેલા ભગવાન રામના વિવિધ ચિત્રો તથા દીપક પ્રગટાવિને લખાયેલ જય શ્રી રામ જેવા દૃશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમને અંતે સૌ બાળકોને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ વિશેની વાતો શાળાના શિક્ષક ગણ દ્વારા કરવામાં આવી હતી. ભગવાન રામના જીવનને આદર્શ માનીને જીવાતું જીવન એ માનવ જીવનનું ઉત્તમ જીવન છે એવા ઉમદાભાવ સાથે આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Recent Comments