અમદાવાદની નવવધૂ લગ્ન કરીને સાસરીમાં ગઈ ત્યાં ઘરના બધા તેને પ્રેમ કરશે અને લાડ લડાવશે એવી આશા હતી, પરંતુ પતિ અને સાસરિયાંની માનસિકતા સભ્ય સમાજમાં શરમજનક હતી. પતિ પત્નીને કહેતો કે મારા પિતા તને મારી સાથે સૂવા માટે લાવ્યા છે અને તારે અહીં દ્રૌપદીની જેમ રહેવું પડશે. વાત આટલેથી અટકી નહિ અને પરિણીતાને માનસિક ત્રાસની સાથે અન્ય લોકો દ્વારા માર મારવામાં આવ્યો અને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ અંગે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદની પ્રિયા (નામ બદલ્યું છે)ના લગ્ન ચાંદખેડા વિસ્તારમાં રહેતા પરિવારમાં થયા હતા. પ્રિયાનો પતિ હરિ(નામ બદલ્યું છે ) લગ્નના એક મહિના બાદ જ તેની સાથે ઝઘડવા લાગ્યો હતો. આ બધામાં તેમના પરિવારની સમજાવટથી બધું પૂરું થઈ જતું હતું.
આ બધું ચાલી રહ્યું હતું ત્યારે હરિએ પ્રિયાને બેડરૂમમાં ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ હરિએ પ્રિયાને કહ્યું, તું હું કહું એમ કર, મારા પિતા તને અહીં મારી સાથે સુવડાવવા લાવ્યા છે. આટલેથી વાત અટકી નહિ; હરિએ પ્રિયાને કહ્યું કે તારે અહીં રહેવું હોય તો દ્રૌપદીની જેમ રહેવું પડશે.
આમ સાંભળીને પ્રિયા સમસમી ઊઠી હતી અને આ વાતનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન અન્ય સાસરિયાં પણ પ્રિયને પરેશાન કરવા લાગ્યાં હતાં. એક દિવસ પ્રિયાને હરિના મોટા ભાઈએ માર મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. આ સમગ્ર મામલે પ્રિયાએ તેની સાથે બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવાનું મન બનાવી લીધું હતું. એ અંગે પ્રિયાએ હાલ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments