ગુજરાત

થલતેજમાં શાંતિ પેલેસ બંગ્લોઝમાં રહેતાં વૃદ્ધ દંપતીની ઘરમાં ઘૂસીને હત્યા

અમદાવાદમાં ફરી એકવાર વૃદ્ધોની સલામતી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાંથી વૃદ્ધ દંપતીની હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના થલેતજ વિસ્તારમાં હેબતુપર ચાર રસ્તા પાસેના શાંતિ પેલેસમાં ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીની હત્યા કરી દેતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. લૂંટના ઈરાદે હત્યા કરી હોવી જાેઈએ તેવું માનવામાં આવી રહ્યું છે. આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદમાં એકલાં રહેતાં વૃદ્ધોની હત્યાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેવામાં વધુ એક કિસ્સાએ એકલાં રહેતાં વૃદ્ધોમાં ડરનો માહોલ ઉભો કરી દીધો છે.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં હેબતપુર ચાર રસ્તા પાસે શાંતિ પેલેસ બંગ્લોઝમાં અશોક કરસનદાસ પટેલ અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલ ઘરમાં એકલાં જ રહેતાં હતા. તેમનો એક પુત્ર દુબઈમાં રહે છે. જ્યારે દીકરી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહે છે. વહેલી સવારે આ વૃદ્ધ દંપતીની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વૃદ્ધ દંપતીના એક પરિવારજને જણાવ્યું કે, સવારે ૮ વાગ્યાની આસપાસ વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. સવારે આજબાજુમાં દંપતીએ સિક્યોરિટીને ચા પણ આપી હતી. બાજુવાળાને જ્યુસ પણ આપ્યો હતો. અને સવારે સ્કૂટર સાફ કરતાં તેઓને પાડોશીઓએ જાેયા હતા.

અને ચાર લોકોને ઘરમાંથી ભાગતાં સિક્યોરિટી મેને જાેયા હતા. અમદાવાદમાં વહેલી સવારે વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવતાં પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામ્યો હતો. અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. વૃદ્ધ દંપતીનો બંગલો મેઈન રોડ પર આવેલો છે. અને ટ્રાફિકથી ધમધમતો હોય છે. તેવામાં ચાર જેટલાં લોકોએ ઘરમાં ઘૂસીને દંપતીની હત્યા કરી દેતાં અમદાવાદીઓની સુરક્ષામાં સવાલ ઉઠી રહ્યા છે. હવે સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવશે.

Related Posts