ગુજરાત

દહેગામ તાલુકામાં ૩૦ અરજદારોએ નકલી સર્ટિફિકેટ રજૂ કરી કોરોના સહાય મેળવી

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં ખુબ ઉથલપાથલ મચાવી અને લાખો લોકોના જીવ ગયા. કોરોનાકાળમાં જે લોકોના કોરોનાથી મોત થયા તેમના માટે ગુજરાત સરકારે ૫૦ હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી. હવે આ સહાય મામલે મોટું કૌભાંડ સામે આવ્યું છે.ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ૩૦ અરજદારોએ નકલી સર્ટિફિકેટ રજૂ કરી કોરોના સહાય મેળવી. પોતાના સગા મૃત્યુ પામ્યા છે કોરોનામાં એ પ્રકારના ખોટા સર્ટિફિકેટના આધારે સમગ્ર કૌભાંડ આચારવામાં આવ્યો. કોભાંડમાં સામેલ ૩૦ અરજદારો સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

પોલીસ તપાસમાં પોલીસે ૧૩ વ્યક્તિઓની ધરપકડ કરી. છ મહિના પહેલા સાબરકાંઠાના તલોદમાં પણ આ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું હતું. સાબરકાંઠાના તલોદના કૌભાંડ અને દહેગામના કૌભાંડના તાર જાેડાયેલા હોવાની ચર્ચા છે. આ સરકારી સહાય મેળવવા માટે અગાઉ પણ જે લોકોના કોરોનામાં મૃત્યુ નહતા થયા તેવા લોકોના નામ સામે આવ્યા હતા અને વિવાદ થયો હતો. જે તે સમયે રાજ્ય સરકારે તપાસના આદેશ પણ આપ્યા હતા. હવે ફરીથી કૌભાંડનું ભૂત સળવળિયું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ખોટી રીતે સહાય લીધી હોવાના મામલા સામે આવ્યા છે.

જેમાં અલગ અલગ ગામના ૩૦ જેટલા લોકોએ નકલી ઓફિસરના સહી સિક્કા કરાવીને કામ પાર પડાવ્યું. પણ તપાસમાં ભાંડો ફૂટી તા ૩૦ જેટલા અરજદારો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ દહેગામ તાલુકામાં કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોની સહાય મેળવવા માટે ૩૦ જેટલા અરજદારોએ સાણોદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના નકલી સર્ટિફિકેટ અરજી જાેડે મૂક્યા હતા. હવે આ મામલે મામલતદાર કચેરી એડીવીટી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર કૌશલકુમાર ભીમજીભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી જેમાં કોરોનાની સહાય મેળવવા માટે કેટલાક લોકોએ ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા એવું જાણમાં આવ્યું હતું.

મેડિકલ સર્ટિફિકેટની તપાસ હાથ ધરતા તે ખોટા હોવાનું ધ્યાનમાં આવ્યું અને તે સાણોદાના તબીબી અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હોવાનું જણાયું. આ મામલે મેડિકલ ઓફિસરે મૃતકોના નામ સાથેની વિગતો તપાસ કરતા આવા કોઈ સર્ટિફિકેટ અપાયા નથી તેવું સામે આવ્યું. આમ, ૩૦ અરજદારોએ બનાવટી સર્ટિફિકેટ રજૂ કર્યા અને ૫૦ હજારની સહાય પણ મેળવી લીધી. હવે આ સમગ્ર મામલે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીઆઈ બી બી ગોહિલ તપાસ કરી રહ્યા છે.

Related Posts