હોસ્પીટલમાં દાખલ થયેલ દર્દીઓને તેમના સગાંઓને નાની મોટી ખાદ્ય સામગ્રી અને કેટલાંક સ્થળોએ તો ભોજન પહોંચાડવાનુ કામ કરતી સેવાકીય સંસ્થાઓ સમગ્ર ગુજરાતમાં કામ કરી રહી છે. પરંતુ, અમરેલીમાં ૨૪ × ૭ ગ્રુપ દ્વારા તેની સાથે સાથે દર્દીઓ સાથે ભાવાત્મક સબંધ ઉભો કરી તેને હુંફ અને સધિયારો આપવાનો એક નવીનતમ પ્રયોગ હાથ ધરાયો છે.
છેલ્લા કેટલાંક સમયથી અમરેલી રેડક્રોસ બ્લડ બેંકના ચેરમેન અને પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર અને તેમના સાથી કાર્યકરોની ટીમ દર રવિવારે અમરેલી સીવીલ હોસ્પીટલની મુલાકાત લે છે. આ મુલાકાત દરમ્યાન દર્દીઓમાં બિસ્કીટ, ફુટસ જેવી વસ્તુઓનું વિતરણ તો કરાય છે પણ સાથે સાથે ૨૪ × ૭ ગ્રુપના સદસ્યો બે—બેની ટીમમાં અલગ અલગ વોર્ડમાં જાય છ અને દર્દીઓને જાણે તેમના નજીકના સગાં હોય તે રીતે લાગણીથી તેમના ખબર અંતર પુછે છે. તેમના પરિવાર વિષે અને તેમના રોગ અને સારવાર વિષે પુછપરછ કરે છે અને આ સમગ્ર વિગત પોતાની ડાયરીમાં નોંધી લે છે. દર્દી અથવા તેમના સાથે આવેલ પરિવારના સદસ્યોનો ફોન નંબર લખી લે છે અને ત્યારપછી દર બે-ત્રણ દિવસે તેમને ફોન કરી તેમના ખબર અંતર પુછતા રહે છે. દર્દીની મુલાકાત લેનાર ૨૪ × ૭ના મેમ્બરો પોતાનો નંબર પણ દર્દીને આપે છે અને ગમે ત્યારે કાંઈપણ જરૂર પડે ત્યારે તેમનો સંપર્ક કરવા કહે છે.
આમ આ સમગ્ર મુલાકાતનો મૂળ હેતું દર્દી સાથે ભાવાત્મક સબંધ ઉભો કરવાનો અને અમરેલીમાં તેમની મદદ કરવા તૈયાર અન્ય લોકો પણ છે તેવો અહેસાસ કરાવવાનો છે. ૨૪ × ૭ના મેમ્બરોનો અનુભવ છે કે દર્દી સાથે આ રીતે લાગણીથી સંવાદ કરવાથી દર્દીને પણ
સધિયારો મળે છે, તેનો આત્મ વિશ્વાસ વધે છે અને સરવાળે તેમનું મનોબળ મજબુત થાય છે જે તેમને જલ્દી સાજા થવામાં મદદરૂપ થાય છે.
૨૪ × ૭ ગ્રુપના મેમ્બરો અત્યાર સુધીમાં લગભગ ૧૫૦૦ જેટલા દર્દીઓને આ રીતે મળી ચુક્યા છે. તેમની સૌવીલ હોસ્પીટલની એક મુલાકાતમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા પણ આવેલા અને તેમણે કહયું કે, “તમારી આ પ્રવૃતિ અમરેલીને સમગ્ર રાજયમાં પ્રતિષ્ઠા અપાવે તેવી છે.”
ડો. ભરત કાનાબારે જણાવ્યું કે તેમની આ પ્રવૃતિથી પ્રભાવિત થઈ, અમરેલી જીલ્લાના અન્ય તાલુકામાં સ્થાનિક સેવાભાવી યુવાનોએ તેમના વિસ્તારમાં આ રીતે કામ કરવાની તૈયારી બતાવી છે. દિવાળી બાદ જીલ્લાના અન્ય તાલુકા મથકોએ પણ સ્થાનિક લોકોના સહકારથી આ અભિયાન ચાલું થાય તેવા પ્રયત્નો કરીશું.
આ પ્રવૃતિમાં ઓકસફર્ડ સ્કૂલ દ્વારા રૂા.૧૧,૦૦૦/-નું આર્થિક અનુદાન પ્રાપ્ત થયું છે. હાલ દર અઠવાડીએ દર્દીઓમાં બિસ્કીટ, ફળોના વિતરણ માટે સરેરાશ રૂા.૬૦૦૦/– જેટલો ખર્ચ આવે છે.
Recent Comments