અમરેલી

દેરડી કુંભાજી મુકામે સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા રક્તદાન કેમ્પ, વિનામૂલ્યે દંતયજ્ઞ અને આયુર્વેદ કેમ્પનું આગામી શનિવાર અને રવિવાર બે દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

  મનુષ્યજાતિનાં ઉદ્ધાર માટે, સનાતન ધર્મનાં પુનરુત્થાન માટે પરમાત્માની પ્રેરણાથી આ ધરતી ઉપર વારંવાર દિવ્ય આત્માઓનું અવતરણ થતું હોય છે. એવા જ એક પવિત્ર મહાપુરુષ એટલે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ કે જેમણે પોતાનાં જીવનકાળમાં આ સૌરાષ્ટ્રની ધરા ઉપર સનાતન ધર્મને ઉજાગર કરવાનું અદ્વિતીય કાર્ય કર્યું. તેઓશ્રીનાં સાન્નિધ્યથી લાભાન્વિત થયેલો અને તેઓશ્રીનાં ધર્મ, ભક્તિ અને માનવસેવાનાં સંસ્કારોથી સુસંસ્કૃત થયેલો ખૂબ મોટો સેવક- અનુયાયી સમાજ આજે પણ તેઓશ્રીની પ્રેરણાનુસાર સેવા અને ભક્તિનાં કાર્યોમાં તત્પર રહે છે. પૂજ્યશ્રી દ્વારા સ્થાપિત સનાતન ધર્મનાં ધ્વજ સમાન 18 આશ્રમો આ સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા છે. તેમાંનો જ એક પૂજ્યશ્રીની આધ્યાત્મિક ચેતનાથી પરિપૂર્ણ આશ્રમ દેરડી(કુંભાજી) મુકામે આવેલો છે. આ આશ્રમ સાથે શ્રદ્ધા અને આસ્થાથી બંધાયેલા પૂજ્યશ્રીનાં સેવક સમુદાય દ્વારા આ આશ્રમનાં પટાંગણમાં ખૂબજ સુંદર ગુરુમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ ગુરુમંદિરમાં પૂજ્યશ્રીની મંગલમૂર્તિ પધરાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનાં ભવ્ય મહોત્સવનું આયોજન આગામી તા.8, 9 – જૂન -2024 ને શનિ, રવિવારનાં પાવન દિને કરવામાં આવેલ છે. સાથોસાથ પૂજ્ય સ્વામીજીનાં પરોપકાર – માનવસેવાનાં સિદ્ધાંતને સાકાર કરવાનાં જ એક ભાગરૂપે આ પ્રસંગે ‘સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ – ટીંબી’નાં લાભાર્થે રક્તદાન કેમ્પ, દંતયજ્ઞ તેમજ આયુર્વેદ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ મહોત્સવ અંતર્ગત તા. 08 – જૂન – શનિવારનાં રોજ ગુરુમર્તિનો 108 દ્રવ્યોથી અભિષેક કરવામાં આવશે અને સાંજે 4.30 કલાકે ધૂન-સંકીર્તન સાથે દેરડી ગામની ભાગોળે ભવ્ય શોભાયાત્રા નીકળશે. અને સાંજે 7.30 કલાકે મૂર્તિને ધાન્યાધિવાસ કરાવી સાયં આરતી કરવામાં આવશે. ત્યારબાદ તા. 09 – જૂન- રવિવારનાં રોજ સવારે 8.00 કલાકે રક્તદાન કેમ્પ, દંતયજ્ઞ તથા આયુર્વેદ કેમ્પનો શુભારંભ થશે. આ પ્રસંગે વધુમાં વધુ યુવા સશક્ત ભાઈઓ – બહેનોને રક્તદાન કરવા માટે પધારવા સહૃદય નિમંત્રણ પાઠવવામાં આવે છે. દંતયજ્ઞ કેમ્પમાં રાજકોટથી ડો. શ્રી ભરતભાઈ વ્યાસ પધારી તદ્દન વિનામૂલ્યે જાલંધરબંધ યોગપદ્ધતિથી કોઈ પણ જાતની પીડા વગર દર્દીઓનાં દાંત કાઢી આપશે તેમજ દાંતનાં અન્ય રોગોની સારવાર પણ કરી આપશે તથા દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. જેનો લાભ લેવા દર્દીઓને પધારવા અનુરોધ કરવામાં આવે છે. આયુર્વેદ કેમ્પમાં રાજકોટથી ડો. શ્રી ધવલભાઈ મકવાણા અને તેમની ટીમ પધારીને તદ્દન વિનામૂલ્યે શુદ્ધ આયુર્વેદ પદ્ધતિથી પાચનતંત્રનાં રોગો અને ચામડીનાં રોગો તેમજ અગ્નિકર્મ થેરાપી વડે શરીરનાં કોઈ પણ સાંધાનાં દુ:ખાવાની સારવાર કરી આપશે, જેનો લાભ લેવા માટે જરૂરિયાતમંદ દર્દીઓને પધારવા વિનંતી છે.

આ પ્રસંગે આયોજિત ધર્મસભા- સત્સંગ સમારોહમાં સવારે 9.00 કલાકે દીપ પ્રાગટ્ય બાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ તથા સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ગુરુભક્તિમય દિવ્ય અમૃતવાણીનું શ્રોતાજનોને રસપાન કરાવશે. ત્યારબાદ દાતાશ્રીઓનાં  સન્માન અને મહાનુભાવો પ્રાસંગિક વક્તવ્યો પણ આપશે. આ પ્રસંગે શ્રી મેઘજીભાઈ હિરાણી (નાગલપર – કચ્છ) પધારીને ગૌસંવર્ધન અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે પ્રેરણાદાયક ઉદ્દબોધન કરી લોકોને એ વિષે પ્રોત્સાહિત કરશે.ત્યારબાદ બપોરે 12.39 કલાકે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં પૂ. સ્વામી શ્રી ભોલાનંદજી તથા પૂ. સ્વામી શ્રી સદાનંદજીનાં વરદહસ્તે ગુરુમૂર્તિની દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા તેમજ મહાપૂજા અને મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી જનતાને સમૂહ ભોજન મહાપ્રસાદ કરાવવામાં આવશે. આ સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ આશ્રમની યુ-ટ્યુબ ચેનલ ‘ગુરુ સાન્નિધ્ય’ (GURU SANNIDHYA’) પર પ્રસારિત કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવનો લાભ લેવા માટે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ દેરડી (કુંભાજી) ગામ સમસ્ત સર્વે ધર્મપ્રેમીજનોને સહૃદય નિમંત્રણ પાઠવે છે.

Related Posts