મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ હવે કોંગ્રેસ માટે ગોવામાં પણ મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જાે કે ગોવામાં તેમની સરકાર તો નથી પરંતુ ત્યાં તે રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી તેમની જ પાર્ટીના નેતા માઈકલ લોબો અને પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે કરી છે. વાત જાણે એમ છે કે ગોવા વિધાનસભામાં વિપક્ષના નેતા માઈકલ લોબો અને કામત પર આરોપ છે કે તેમણે પોતાના ધારાસભ્યોને વિભાજિત કરી સત્તાધારી પક્ષ ભાજપમાં જાેડવાનું ષડયંત્ર રચ્યું. કોંગ્રેસ ગોવાના પ્રભારી દિનેશ ગુંડુ રાવે લોબો પર પાર્ટીને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચ્યું. ગુંડુરાવે કહ્યું કે આ (કામત અને લોબો) એ જ લોકો છે જેમણે ચૂંટણી પહેલા પરમપિત પરમેશ્વર સામે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ક્યારેય પાર્ટી છોડશે નહીં અને ક્યારેય પક્ષપલટો નહીં કરે. આ સ્પષ્ટ પ્રતિબિંબ છે કે તેઓ ભગવાનને કેટલું મહત્વ આપે છે. તેમણે આરોપ લગાવ્યો કે આ બંને નેતાઓ બેકગ્રાઉન્ડમાં ભાજપ સાથે કામ કરી રહ્યા છે. રાવે દાવો કર્યો કે ‘ભાજપનું મિશન દેશમાં વિપક્ષને ખતમ કરવાનું છે. તેમણે કહ્યું કે તેઓ ખાસ રીતે કોંગ્રેસને ખતમ કરવા માંગે છે.
કારણ કે કોંગ્રેસને નબળી કરીને અને ખતમ કરવાની કોશિશ કરીને તેમને એવું લાગે છે કે તેઓ જે પણ કરવા માંગે છે તેમને તેમ કરતા કોઈ રોકશે નહીં.’ તેમણે કહ્યું કે માઈકલ લોબોને તરત એલઓપીના પદેથી હટાવવામાં આવે છે. નવા નેતાની પસંદગી કરવામાં આવશે અને જે પણ કાર્યવાહી કરવાની હશે તે કાયદા મુજબ કરવામાં આવશે. કોંગ્રેસે દાવો કર્યો કે ગોવાની સત્તાધારી ભાજપ તેના ૧૧ સભ્યવાળા ધારાસભ્ય દળમાંથી બે તૃતિયાંશ ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહી છે અને પક્ષપલટા માટે મોટી રકમ આપવાની રજૂઆત કરી રહી છે. દિનેશ ગુંડુરાવે પોતાના ધારાસભ્યોને તોડવા માટે કથિત રીતે પૈસા ધરવા બદલ ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમારા અનેક ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે મોટી રકમ ઓફર કરાઈ હતી. હું તેને વ્યક્ત કરી શકતો નથી.
ભાજપે તેમને જેટલી રકમ ઓફર કરી તેનાથી હું સ્તબ્ધ છું. બીજી બાજુ ગોવામાં કોંગ્રેસના ૧૧માંથી ૫ ધારાસભ્યો સંપર્કમાં નથી. જેને ગંભીરતાથી લેતા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકને રાજ્યમાં તાજા રાજકીય ઘટનાક્રમ પર નજર રાખવા માટે ગોવા જવા માટે કહ્યું છે. રાવે કહ્યું કે પાર્ટીના પાંચ ધારાસભ્યો લોબો, કામત, કેદાર નાઈક, રાજેશ ફલદેસાઈ અને ડેલિયાલા લોબો સાથે સંપર્ક થઈ શકતો નથી. અત્રે જણાવવાનું કે વર્ષની શરૂઆતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૧૧ બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે ૨૦ બેઠકો પર કબજાે જમાવ્યો હતો. તેને પાંચ અન્યનું સમર્થન પણ પ્રાપ્ત છે. ગોવામાં આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાડોશી મહારાષ્ટ્રમાં પણ મોટી ઉથલપાથલ થઈ અને એકનાથ શિંદેના નેતૃત્વમાં સત્તાધારી શિવસેનાના કેટલાક ધારાસભ્યો બળવાખોર બનતા મહાવિકાસ આઘાડીની સરકાર પડી ગઈ.



















Recent Comments