અમરેલી

ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મરનું ખાનગી વિધેયક ગૃહમાં રજૂ થયું. માણસનું હોસ્‍પિટલમાં મરણ થાય ત્‍યારે મસમોટી ફી લેતા ડોક્‍ટરોએ માનવતાના ધોરણે ફી માફ કરવી જોઈએ

ગાંધીનગર ગુજરાત લાંબી બિમારીઓની સારવાર માટેનો તબીબી ખર્ચ માફ કરવા બાબત
લાઠી-બાબરા વિસ્‍તારના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મરનું ખાનગી વિધેયક ગૃહમાં રજૂ થયું.માણસનું હોસ્‍પિટલમાં મરણ થાય ત્‍યારે મસમોટી ફી લેતા ડોક્‍ટરોએ માનવતાના ધોરણે ફી માફ કરવી જોઈએ : વિરજીભાઈ ઠુમ્‍મર ખાનગી હોસ્‍પિટલમાં મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિની બાકી ફી માફ કરી ડેડબોડી માનવતાના ધોરણે આપવા ખાનગી હોસ્‍પિટલોને ફરજ પાડવા ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મરની માંગણીગઈકાલે વિધાનસભા ગૃહમાં અમરેલી જિલ્લાના લાઠી-બાબરા વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી વિરજીભાઈ ઠુમ્‍મરનું ગુજરાત લાંબી બિમારીઓની સારવાર માટેનો તબીબી ખર્ચ માફ કરવા બાબત બિન-સરકારી વિધેયક રજૂ થયું હતું.શ્રી વિરજીભાઈ ઠુમ્‍મરે વિધેયક રજૂ કરતાં જણાવ્‍યું હતું કે, છેલ્લાં કેટલાક વર્ષોથી ગંભીર રોગોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે, તેમાંય કેન્‍સર જેવી મહામારીની બિમારી દેશના અન્‍ય રાજ્‍યો કરતાં ગુજરાતમાં સૌથી વધારે છે. પાના-માવા, જંતુનાશક દવાઓ, ફર્ટીલાઈઝર્સ વગેરેના કારણે લોકો કેન્‍સરનો વધુ પ્રમાણમાં ભોગ બને છે. શાકભાજીમાં પણ સિસ્‍ટેમેટીક દવાના કારણે કોઈપણ રીતે બચવું હોય તો પણ બચી ન શકાય એવી પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે. બિમારી એ કુદરતી આફત છે. મનુષ્‍યનું આરોગ્‍ય ખૂબ જ મહત્ત્વનું છે. Wealth is lost, something is lost, but health is lost, everything is lost. માણસ પૈસા ગુમાવે ત્‍યારે કંઈ ગુમાવતા નથી પરંતુ આરોગ્‍ય ગુમાવે છે ત્‍યારે કરોડપતિ માણસ પણ પોતે પોતાના હાથે જમી શકતો નથી, પોતાની જાતે ચાલીને ગાડીમાં બેસી શકતો નથી, જીવન જીવવું તેના માટે દુષ્‍કર બની જાય છે.શ્રી વિરજીભાઈ ઠુમ્‍મરે જણાવ્‍યું હતું કે, માણસ સારવાર અર્થે સરકારી હોસ્‍પિટલમાં દાખલ થાય છે. સરકારી હોસ્‍પિટલમાં દાખલ થયા પછી એને બધી સારવાર ન મળે એટલે ખાનગી હોસ્‍પિટલમાં જવાની ફરજ પડતી હોય છે. ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટેના બિલ લાખો રૂપિયામાં આવતા હોય છે, જેનું તાજું ઉદાહરણ ગૃહના સભ્‍ય સ્‍વ. ડો. અનિલભાઈ જોષીયારા છે. તેમની સારવાર માટે સરકારે બધી જ મદદ કરી તે બદલ સરકારને અભિનંદન આપું છું પરંતુ મોંઘી અને ઉત્તમ સારવાર છતાં તેમને બચાવી શકાયા નહીં, જે દુઃખદ છે.

આવી પરિસ્‍થિતિમાં ગરીબ માણસની શું પરિસ્‍થિતિ થાય ? આજે રજૂ કરેલ વિધેયકની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે એમ્‍પેનલ્‍ડ નામયાદીવાળી સરકારની યોજનામાં જોડાયેલ ખાનગી હોસ્‍પિટલને ખર્ચ ભરપાઈ કરવા માટે અને લેણી રકમની ચૂકવણી માટે સરકારે આરોગ્‍ય કમિશ્નર, નાણા વિભાગના અગ્રસચિવ અને નાયબ સચિવશ્રી ઉતરતા દરજ્‍જાના નહીં તેવા આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના એક અધિકારીના બનેલા સત્તામંડળની રચના કરવા માંગણી કરેલ છે.શ્રી વિરજીભાઈ ઠુમ્‍મરે જણાવ્‍યું હતું કે, ગરીબ વ્‍યક્‍તિને હૃદયરોગનો હુમલો આવે. ખાનગી હોસ્‍પિટલ દ્વારા માંગવામાં આવેલ રકમ તેના પરિવારજનો ભરી દે. સારવાર દરમ્‍યાન આવા વ્‍યક્‍તિનું મૃત્‍યુ થાય પછી ખાનગી હોસ્‍પિટલ દ્વારા વધારે નાણાંની માંગણી કરવામાં આવે. પરિવારજનો પેટે પાટા બાંધીને ખર્ચ કરે, ઉછીના પૈસા લઈ સારવાર કરાવે. આજે ડોક્‍ટરો મસમોટી ફી લેતા હોય છે. વીઝીટ ફી પેટે ૧૫-૨૦ હજાર રૂપિયા લેતા હોય છે. જ્‍યારે માણસનું હોસ્‍પિટલમાં મરણ થાય ત્‍યારે મસમોટી ફી લેતા ડોક્‍ટરોએ માનવતાના ધોરણે પોતાની ફી માફ કરવી જોઈએ અને એટલા માટે જ વિધાનસભા ગૃહમાં આ વિધેયક લાવવાની ફરજ પડી છે.શ્રી વિરજી ઠુમ્‍મરે જણાવ્‍યું હતું કે, આજે ખાનગી હોસ્‍પિટલો સરકારની આયુષ્‍યમાન કાર્ડ, મા અમૃતમ કાર્ડ અને અન્‍ય યોજનાઓ સાથે જોડાયેલ છે. વિસ્‍તારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્‍ય-સંસદસભ્‍યને સારવાર માટે સરકારની સહાય મળે છે ત્‍યારે સામાન્‍ય માણસને કેમ નહીં ? કોઈ ગરીબ માણસનું સારવાર દરમ્‍યાન અવસાન ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ પરંતુ સારવાર દરમ્‍યાન મૃત્‍યુ થાય ત્‍યારે શું ? એના માટે ખાનગી હોસ્‍પિટલમાં મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિની બાકી રહેતી ફી માફ કરીને એની ડેડબોડી માનવતાના ધોરણે આપવા ખાનગી હોસ્‍પિટલોને સરકારે ફરજ પાડવી જોઈએ. ગૃહના સહુ સભ્‍યોને આ વિધેયકને સર્વાનુમતે સ્‍વીકારી મંજૂર કરવા શ્રી વિરજીભાઈ ઠુમ્‍મરે અપીલ કરી હતી.

Related Posts