અમરેલી

ધારી નજીક જાનૈયા ભરેલી બસ પલટી મારતા દેકારો મચ્યો, ૨૫ લોકો ઇજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના ધારી નજીક રાજકોટના પરિવારની લગ્નની જાનની બસને અકસ્માત નડતા ૨૫થી વધુ જાનૈયાઓ ઘાયલ થયાની ઘટના સામે આવી છે. આ જાનમાં ત્રણ બસ હતી, જેમાં એક ખાનગી ટ્રાવેલ્સ બસના ડ્રાઇવરે બેલેન્સ ગુમાવી દેતા પલટી ગઇ હતી. જેમાં ૨૫થી વધુ લોકોને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ દુર્ઘટના બનતાની સાથે જ આસપાસના વિસ્તારોનાં લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને બસમાંથી ઈજાગ્રસ્ત જાનૈયાઓને બહાર કાઢીને સારવાર માટે હોસ્પીટલે ખસેડવાની પ્રક્રિયા કરી હતી. સરકારી તંત્ર પણ એમ્બ્યુલન્સનાં કાફલા સાથે દોડી આવ્યું હતું. ઈજાગ્રસ્તોને આંબરડી, ધારી તથા આસપાસના સરકારી આરોગ્ય કેન્દ્રો પર ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટના સોલંકી પરિવારમાં લગ્ન હતા અને જાન આંબરડી જઈ રહી હતી. જાનમાં કુલ ત્રણ બસો હતી તે પૈકી એક બસના ડ્રાઇવરે બેલેન્સ ગુમાવી દેતા પલટી ખાઈ ગઈ હતી. કેટલાંક જાનૈયાઓને ગંભીર ઈજા થતાં ધારી ઉપરાંત અમરેલી રીફર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકીય અને સેવાભાવી આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં બે લોકો અતિ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. લખનભાઈ નામના જાનૈયાએ જણાવ્યું હતું કે, અમે રાજકોટથી અહીં આંબરડી ગામમાં જાન લઈ આવતા હતા, રસ્તા વચ્ચે પુલ આવ્યો ત્યાં બસ પલટી મારી જતા કોઈના હાથ ભાંગી ગયા, તો કોઈના પગ ભાંગી ગયા છે. બાકીના બધાને પણ મોટા પ્રમાણમાં ઇજાઓ થઇ છે.

Follow Me:

Related Posts