ગુજરાત

નડિયાદમાં દેવદિવાળી પર્વે સંતરામ મંદિરમાં ૧ લાખથી વધુ દિવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા

નડિયાદના સંતરામ મંદિરમાં દેવદિવાળીના પર્વે પરંપરાગત રીતે મંદિરના શીખરથી લઈ પરિસરમાં એક લાખ ઉપરાંતના દિવડાઓની હારમાળા પ્રજ્વલીત કરવામાં આવી હતી. પરિણામે મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠયું હતું. આ નજારો જાેવા માટે નડિયાદ તથા આસપાસના ગામોમાંથી હજારો ભક્તો ઉમટયાં હતાં. તેમજ અંદાજે ૧૦૦ એનઆરઆઈઓ દર્શનાર્થે આવ્યાં હતાં.

નડિયાદના સંતરામ મંદિરમાં શુક્રવારે દેવદિવાળીના પાવનપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત રીતે દેવદિવાળીની ઢળતી સાંજે મંદિરના શીખરથી લઈ પરિસરમાં હજારો દિવાઓથી રોશન કરવામાં આવે છે. ચાલુ વર્ષે સમગ્ર મંદિર અને પરિસરને એક લાખથી વધુ દિવડાઓની હારમાળાથી પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું. પરિણામે સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠયું હતું. લોખંડની એંગલો પર દીવાઓ સજી ‘જય મહારાજ’ લખાયું હતું. આ સમયે હજારો ભાવિક ભક્તો અને સ્વયંસેવકોના હાથ થકી ગણતરીના સમયમાં એક લાખ ઉપરાંતના દીપમાળા પ્રજ્વલિત થયા હતા. આ નજારો જાેવા માટે શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટયાં હતાં. તેમજ ૧૦૦થી વધુ એનઆરઆઈ આ ઉજવણીના દર્શન કરવા માટે માદરે વતન આવ્યાં હતાં. અહીંયા ભગવાન ગુરૂ દત્તાત્રેયના અવતાર સ્વરૂપ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની દિવ્ય જયોતિનું તેજ, તપ અને પુણ્ય જાેવા મળે છે. અનેક વ્યક્તિઓની આસ્થા અને શ્રદ્ધા આ મંદિર સાથે જાેડાયેલી છે.

Related Posts