ગુજરાત

નડિયાદમાં બંધ મકાનમાંથી પોણા લાખથી વધુ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીઓનો વ્યાપ વધ્યો છે. તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી હાથફેરો કરી ફરાર થઈ જવાના બનાવો સામે આવી રહ્યા છે. નડિયાદ પશ્ચિમમાં એક બંધ મકાનમાંથી તસ્કરોએ પોણા લાખની ઉપરનો મુદ્દામાલની ચોરી કરી છે. વિધવા મહિલા પોતાનું મકાન બંધ કરી દિકરીના ઘરે ગઈ અને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પવનચક્કી રોડ પરની એકતા પાર્ક સોસાયટીમાં રહેતા જુલીયા આલોઈસ પરમારના બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. તેઓ પોતે વિધવા છે અને તેમની દીકરી અને જમાઈ બન્ને નડિયાદમાં રહે છે.

ગત ૧૬મી જૂને સાંજના સમયે જુલીયાબેન પોતાનું મકાન બંધ કરી પોતાની દિકરી અને જમાઈના ઘરે નડિયાદમાં મિશન રોડ પરની સોસાયટીમાં ગયા હતા. આ સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે જુલીયાબેનના બંધ મકાનનું તાડુ તોડી ઘરમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ મુખ્ય દરવાજાનું ઈન્ટર લોક તોડી ભોંયતળિયામાં આવેલ રૂમમાં મુકેલ લોખંડની તિજાેરીનું લોક તોડી સોનાના આશરે બે તોલા જેટલા દાગીના તથા રોકડ રૂપિયા કુલ મળી રૂપિયા ૭૮ હજારના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

આ ઘટનાની જાણ જુલીયાબેનને થતાં તેઓ તથા તેમની દીકરી અને જમાઈ ત્રણેય લોકો ઘરે દોડી આવ્યા હતા. તો બીજી બાજુ નડિયાદ પશ્ચિમ પોલીસને પણ જાણ કરવામાં આવતાં પોલીસે ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Related Posts