માત્ર ૧૩ દિવસમાં સરદાર સરોવરના ફરી ૯ દરવાજા ખોલાયા છે. ઉપરવાસના ભારે વરસાદને પગલે ડેમની સપાટી વધતાં નર્મદામાં પાણી છોડાયું છે. હાલ નદી મહત્તમ સપાટીથી ઓવરફ્લોથી ૩.૬૫ મીટર જ દૂર છે. મધ્યપ્રદેશમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમના નવ દરવાજા ખોલાયા. ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. જેને કારણે ૫ દરવાજાની જગ્યાએ ૯ દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીની આવક ૧૧૭૨૫૭ ક્યુસેક થઈ છે.
નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૦૩ મીટરે સ્થિર થઈ છે. નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલ સાંજે ૬ વાગ્યાથી નર્મદા ડેમના ૯ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ વખતે નર્મદા ડેમના ૫ દરવાજાને બદલે ફરી ૯ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના ૯ દરવાજામાંથી ૫૦,૦૦૦ ક્યુસેક પાણી નદી માં છોડવામાં આવી રહ્યું છે. જયારે આરબીપીએચમાંથી ૪૩૬૧૪ અને સીએચપીએચમાંથી ૨૩૩૭૦ ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી કુલ ૧૧૬૯૭૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
હાલ ઉપરવાસમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. આ કારણે નર્મદા, ભરૂચ અને વડોદરાના નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે. તો બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ડેડીયાપાડા તાલુકાના ડુમખલ, કોકમ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે ડુમખલ કોકમ ગામ વચ્ચે આવેલ પુલ પરથી પાણી વહી રહ્યું છે. પુલ પરથી પાણી વહેતુ હોવાના કારણે બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ચુક્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં નાના કાકડીઆંબા અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો થયા છે. જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાકડીઆંબા ડેમની સપાટી ૧૮૭.૪૫ મીટર નોંધાઈ હતી, જે પાંચ સે.મી.થી ઓવરફ્લો થયો છે. ચોપડવાવ ડેમની સપાટી ૧૮૭.૪૫ મીટર નોંધાઈ હતી.
Recent Comments